કોડીનારમાં ભત્રીજાના લગ્નના ફૂલેકા બાદ અરજણભાઇ પરમાર પર હુમલો
નાથા, જીલા, નરસી, સુનિલે સળીયા-ધોકાથી ફટકાર્યાઃ રાજકોટ ખસેડાયા
રાજકોટ તા. ૨૬: કોડીનારમાં વૃધ્ધ પર ચારેક શખ્સોએ હુમલો કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. ઘાયલ થયેલા વૃધ્ધના ભત્રીજા લગ્નનું ગઇકાલે ફુલેકુ નીકળ્યું હોઇ તે વખતે એક શખ્સે બોલાચાલી કરી હતી. બાદમાં વૃધ્ધ આટો મારવા નીકળતાં તેને આંતરીને હુમલો કરાયો હતો.
હાંડીવાસ છારા ઝાપા પાસે રહેતાં અને ગામમાં જ એક કોમ્પલેક્ષમાં પગીપણુ કરતાં અરજણભાઇ જીવાભાઇ પરમાર (ઉ.૬૦) પર રાતે સાડા અગિયારેક વાગ્યે નાથા લક્ષમણભાઇ સોલંકી, જલા ગોવિંદભાઇ મેર, નરસી બાલુભાઇ અને સુનિલ નરસીભાઇએ સળીયા, ધોકાથી હુમલો કરી માર મારતાં કોડીનાર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોડીનાર જાણ કરી હતી.
સગાના કહેવા મુજબ અરજણભાઇના ભત્રીજા ભાવેશના લગ્ન હોઇ ગઇરાતે ફુલેકૂ નીકળ્યું હતું. આ વખતે અરજણભાઇ સાથે હુમલાખોરો પૈકીના કોઇને બોલીચાલી થઇ હતી. એ પછી તેઓ જ્યાં પગીપણુ કરે છે એ કોમ્પલેક્ષ પર આટો મારવા જતા હતાં ત્યારે આંતરીને હુમલો કરાયો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.