અમરેલીના નવા ગરીયા ગામના કોળી યુવાન સાગર ડાભીનો એસિડ પી આપઘાત
રાતે વાળુ કરી ઘરેથી નીકળી ખોડિયાર મંદિરે જઇ પગલુ ભર્યુઃ કારણ અકળઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારમાં શોક
રાજકોટ તા. ૨૬: અમરેલીના નવા ગરીયા ગામે રહેતાં સાગર કરસનભાઇ ડાભી (ઉ.૨૧) નામના કોળી યુવાને ગત રાતે ગામના ખોડિયાર મંદિર પાસે જઇ એસિડ પી લેતાં અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ અમરેલી તાલુકા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર સાગર બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને કડીયા કામની મજૂરી કરતો હતો. તેના ઘરનું પણ હાલ કડીયા કામ ચાલે છે. રાતે તે વાળુ કર્યા બાદ ઘરેથી નીકળી ગયો હતો અને એસિડ પી લીધું હતું. સગાના કહેવા મુજબ સાગરને આવું પગલુ ભરવું પડે તેવું કોઇ દેખીતુ કારણ નહોતું. તે થોડો ભાનમાં હતો ત્યારે પણ બધાએ તેને કારણ પુછ્યું હતું. પરંતુ તેણે કંઇ જણાવ્યું નહોતું. સાગરનું બેભાન હાલતમાં જ મોત થયું હોઇ અમરેલી પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. યુવાન દિકરાના આ પગલાથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૫)