જામરાવલ પાલિકાના ૨ કર્મચારીના અકસ્માતમાં મોત
ખંભાળીયા - જામનગર હાઇવે ઉપર મીઠોઇ ગામના પાટીયા પાસે અકસ્માત: ગાંધીનગર સ્વચ્છતા અભિયાનની મિટીંગમાં જતા'તા
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૨૬:ખંભાળીયા - જામનગર રોડ પર આજે વહેલી સવારે સાડા ચારેય વાગ્યે મીઠોઇ પાટીયા પાસે નાયરા કંપની નજીક હાઇવે પર ડાયવર્ઝન હોય સીંગલ રોડમાં ત્રણ કાર વચ્ચે અકસ્માત થતાં જામરાવલ ન.પા.ના બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા.
ગાંધીનગર ખાતે આજે સ્વચ્છતા અભિયાનના સંદર્ભમાં મીટીંગ હોય જામરાવલથી ચાર કર્મચારીઓ સેનેટરી ઇન્સ્પ્ેકટર મનોજ શીંગરખીયા સહિત બલેનો કારમાં નીકળ્યા હતા. જ્યારે નાયરા કંપ્ની પાસે ડાયવર્ઝનમાં સીંગો રોડ હોય સામેથી આવતી અર્ટીગા કાર સાથે બલેનો અથડાતા તેમાં બેઠેલા આ ચાર કર્મચારીઓને ગંભીર ઇજા થઇ હતી. જેમાં કારમાં ફસાઇ જતાં નીતિન કાગડીયા નામના યુવાનનું ઘટના સ્થળે કરૃણ મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ત્રણને જામનગર ખસેડાયાતા મનોજ શીંગરખીયાનું પણ મોત નિપજ્યું હતું. જેઓ સેનેટરી ઇન્સ્પેકટર હતા તથા મીટીંગમાં જતા હતા.
બનાવમાં જામરાવલના કર્મચારીઓની બલેનો સાથે નડીયાદ તરફથી અર્ટીગા કાર અથડાઇ હતી તથા તેની પાછળ ટવેરા કાર અથડાઇ હતી. જેમાં પાંચેક મહિલાઓને પણ ઇજા થઇ હતી.
અકસ્માતના સ્થળે ત્યાંથી પસાર થતાં ખંભાળીયા પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર કિશોરસિંહ સોઢાને જાણ થતાં તેમણે સ્ટાફ સાથે ઇજાગ્રસ્તોને મદદ કરી હતી તથા ખંભાળીયા એમ્બ્યુલન્સ તથા માણસ જીવણભાઇ ડગરા સીની. કલાર્ક દ્વારા મોકલવા વ્યવસ્થા કરીને ઘાયલોને ૧૦૮ દ્વારા જામનગર પહોંચાડવા તથા રાવલ ન.પા. સ્ટાફને જાણ કરી હતી.
બનાવની કરૃણતા હતી કે મૃતક બંને યુવાનો હંગામી કર્મચારી તરીકે વર્ષોથી જામરાવલ ન.પા.માં કામ કરતા હતા તથા મીટીંગ હોય ચાર વ્યકિતઓ ગાંધીનગર સાથે જવા નીકળ્યા હતા અને આ બનાવ બનેલ.
બનાવની જાણ થતાં રાવલ ન.પા.ના રાકેશભાઇ થાનકી તથા કર્મચારીઓ મૃતદેહ લેવા ખંભાળીયા જામનગર પહોંચ્યા હતા તથા જામરાવલ ન.પા. સ્ટાફમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.