ઉમિયાધામ સીદસર જવાનો ડાઈવર્ઝન તૂટયોઃ ત્રણજ માસમાં ૭૫ લાખ પાણીમાં
વાહનચાલકોને જામજોધપુર જવા પાનેલીથી ધ્રાફા ફરીને જવુ પડશે જે રસ્તો સિંગલ પટ્ટી હોય સાઈડો બુરવા માંગ
મોટી પાનેલી, તા.૨૪: જામજોધપુર તાલુકામાં પાટીદાર સમાજના કુળદેવી માઁ ઉમિયાનું સુપ્રસિદ્ઘ મંદિર ઉમિયાધામ જવા માટેનો એકમાત્ર ડાઈવર્ઝન ભારે વરસાદને કારણે ધોવાઈ ગયેલ છે હજુ ત્રણ માસ પહેલાજ બનેલા આ ડાઈવર્ઝનથી વાહન ચાલકો તેમજ માઁ ઉમિયાના દર્શને આવતા હજારો શ્રદ્ઘાળુઓ માટે ભારે રાહત મળી હતી ગઈસાલ રાજાશાહી વખતનો મુખ્ય પુલ ડેમેજ થઇ જતા તાત્કાલિક અવર જવર પર પ્રતિબન્ધ મુકવામાં આવેલ જેથી વાહન ચાલકોને સીદસર જવા માટે પાનેલીથી પાંત્રીસ કિલોમીટર જેટલું અંતર કાપી ફરી ફરીને જવુ પડતું હતું જે બાદ લોકોની ભારે હાલાકીને ધ્યાનમાં લઇ ડાઈવર્ઝન બનાવવામાં આવેલ પરંતુ માત્ર ત્રણ માસમાં ૭૫ થી ૮૦ લાખના ખર્ચે બનેલ ડાઈવર્ઝનનું ધાબાઈ નમઃ થઇ જતા ફરીથી વાહન ચાલકો માટે મુસીબત ઉભી થવા પામી છે અને સીદસર જવા માટે કે જામજોધપુર જવા માટે વાયા ધ્રાફા સિંગલ પટ્ટી રોડ ઉપર થઈને જવુ પડશે જે રસ્તો ભારે વાહનો માટે બિલકુલ ચાલે તેમ ના હોય પાનેલી થી વલાસણ સુધી તો સિંગલ રોડ હોય અકસ્માતનો પૂરો ભય રહેશે સિંગલ પટ્ટી રોડની સાઈડો પણ માટીથી ભરેલ ના હોય સામસામે બે વાહનો આવીજતા ગઈસાલ અનેક વખત વાહનો રોડની નીચે ખાઈમાં ઉતરી જવાનાં બનાવ બન્યા હતા.એવોજ ખતરો આ વખતે પણ મંડરાઈ રહ્યો હોય તાત્કાલિક ધોરણે સિંગલ પટ્ટી રોડની સાઈડો બુરવામાં આવે તેવી માંગ ઉઠી છે.