જેસર પાસે ત્રણ લાખ સાથે આમ આદમી પાર્ટીના ૯ કાર્યકર્તા ઝડપાયા
ભાવનગર,તા. ૨૬ : મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને એફ એસ ટી ટીમના વડા પંકજકુમાર કેશવલાલ રાઠોડ એ જેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આ ટીમ દ્વારા પાલીતાણા ચોકડી પાસે આવેલી હોટલ પર નાસ્તો કરવા માટે ઉભા હતા ત્યારે પૈસા ની લેતી દેતી ની વાતો કરી રહેલા શખ્સો પર શંકા પડતા જેસર પોલીસને જાણ કરવામાં આવી હતી તુરંત જ જેસર પોલીસના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને વાતો કરી રહેલા મનજી રવજીભાઈ ઝાજવડિયા, રાજુ ખોડાભાઈ માવરીયા, કનુ મથુરભાઈ માવરીયા ,ખાટા વજાભાઈ ઝાજવડિયા, ધીરુ વેલજીભાઈ પરમાર, જયેશ વાલજીભાઈ મકવાણા, ગોરધન બચુભાઈ ચૌહાણ, દીપકભાઈ ખૂંટ અને ભુપત છગનભાઈ મકવાણાને અટકાવી પૂછપરછ કરતા અને તલાસી લેતા રોકડા રૂપિયા ૩૦,૦૦,૦૦ મળી આવતા ૯ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
પકડાયેલા આઠ શખ્સોને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ગુંદરણા ખાતે રહેતા દિપકભાઈ ખૂટ દ્વારા ચુવાળીયા કોળી સમાજને આ રકમ આપવામાં આવી હતી .અને આ રકમ સમાજની વાડી બનાવવા ઉપયોગ કરવાનો હતો. આ બનાવ અંગે મદદની તાલુકા વિકાસ અધિકારી પંકજકુમાર રાઠોડ જેસર પોલીસ મથકમાં નવ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદથી ચકચાર મચી જવા પામી છે.