આઝાદીના અમૃતકાળથી સુવર્ણકાળ સુધીમાં દેશને વધુ ઉંચે લઇ જવા યોગદાન આપીએ : પોરબંદર જિલ્લા કલેકટર
કુતિયાણામાં જિલ્લાકક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી : ટેબ્લો નિર્દેશન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
પોરબંદર તા. ૨૭ : કુતિયાણામાં ૭૪મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં જિલ્લા કલેકટર અશોક શર્માએ ધ્વજવંદન કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવીને જણાવેલ કે, આઝાદીના અમૃત કાલથી સુવર્ણકાળ સુધીમાં દેશને વધુ ઉંચે લઇ જવા વધુ યોગદાન આપીએ તથા બંધારણના મહાન મૂલ્યોને આત્મસાત કરીએ.
પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી કુતિયાણા સરકારી હાઇસ્કુલ ખાતે યોજાઇ હતી. જિલ્લા કલેકટર અશોક શર્માએ ધ્વજ વંદન કરી પરેડ નિરિક્ષણ કરી ઉપસ્થિત જિલ્લાવાસીઓ પાસેથી પ્રજાસત્તાક દિનનુ અભિવાદન જીલ્યુ હતું.
કુતિયાણા તાલુકાના ખીરસરા ગામના શહીદ લક્ષ્મીદાસ દાણીને યાદ કરી જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માએ આ તકે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યુ હતું કે, આઝાદીના અમૃત કાળથી સુવર્ણકાળ સુધીમાં દેશને વધુ ઉચે લઇ જઇ વધુ યોગદાન આપીએ તે ઇચ્છનીય છે. ઘર ઘર સુધી સમૃધ્ધિની લહેર પહોંચે, નાગરિકોની સુવિધા વધુ ઉચ્ચબળવતર થાય, દરેક હાથને કામ અને દરેક મોમા અન્ન પહોંચે તે માટે રાજય અને કેન્દ્ર સરકાર કટીબધ્ધ છે.
પોરબંદર જિલ્લો ખેતી પ્રધાન હોય કલેકટરશ્રીએ આ તકે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો. ટીમ પોરબંદર દ્વારા તૈયાર કરાયેલ વિઝન પોરબંદરક્૨૦૪૭ની રૂપરેખા તથા કુતિયાણ અને ધેડના વિકાસ સબંધિત વાત કરી હતી. કુતિયાણ નગરપાલિકા દ્રારા ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંન્ટમાથી રૂ.૧ કરોડ ૯૬ લાખના ખર્ચે ડો. બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનું નિમાર્ણ કરાયુ છે. તાલુકા પંચાયત ભવનના નિમાર્ણ માટે સરકાર દ્રારા રૂ. ૩.૩૦ કરોડ ફાળવવામાં આવ્યા છે તેમ જણાવી પોરબંદર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં જુદા-જુદા વિભાગો દ્રારા માનવ કલ્યાણલક્ષી કામગીરી અને થયેલ સિધ્ધિઓની આકડાકીય વિગતો આપીને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લા કલેકટરના હસ્તે કુતિયાણા તાલુકાના વિકાસ માટે રૂ. ૨૫ લાખના ચેકની રેપ્લીકા જિલ્લા આયોજન અધિકારીને આપી હતી.
આ પ્રસંગે વિવિધ કચેરીઓ દ્રારા ટેબ્લો નિદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તથા વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર નાગરિકો - કર્મચારીઓનું સન્માન કરાયુ હતું. કાર્યક્રમને અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરાયુ હતુ. જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જિલ્લા વિકાસ અધિકારી બી. ડી. નિનામા, જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી કુતિયાણા પારસ વાંદા તથા અગ્રણીઓ મસરી ભાઈ ખુંટી, લીલાભાઇ રાવાલિયા સહિત મહેમાનો, શહેરીજનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નીરવભાઈ જોશી અને પૂજાબેન રાજા એ કર્યું હતું.