મોરબી : ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૭: ભારતીય કિસાન સંઘ મોરબીના પ્રમુખ જીલેશભાઇ કાલરીયા મુખ્યમંત્રીને પત્ર પાઠવી ખેડૂતોના પડતર પ્રશ્નોની યાદી સોપી છે જેમાં જણાવ્યું છે કે ભૂંડ રોઝ આખલા અને અન્ય પશુનો ત્રાસ દુર કરવો, ખેડૂતોને દિવસની લાઈટ આપવા બાબતની અમલવારી નહીવત થયેલ છે ચેકડેમો રીપેર કરવા, ઊંડા ઉતારવા, નવા બનાવવાની વારંવાર રજૂઆત કરવા છતાં અમલવારી થતી નથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો દરેક જણસમાં મળે તેવી રજૂઆત છે.
ઘઉંની ખરીદી તાત્કાલિક ચાલુ કરવી જૂની પાક વિમાની લેણી રકમ તુરંત જ ચુકવણી થાય તેવી માંગ, સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન કલ્પસર યોજના પુનઃજીવિત કરવાની માંગ, ખેડૂતોના વાહનોને ટોલનાકામાંથી માફીની માંગ, કેનાલ રીપેરીંગ ચોમાસામાં અથવા વધારાના સમયમાં કરી જરૂરિયાત મુજબ પાણી છોડવાની માંગ, આજી ૨ સિંચાઈમાં જમીન સંપાદન કોર્ટના ચુકાદા આવેલ છતાં ખેડૂતોને રૂપિયા ચૂકવેલ નથી, ઓનલાઈન અરજીમાં ચાલુ વર્ષે જે ખેડૂતોનો વારો ના આવે તેને બીજા વર્ષે શા માટે હેરાન કરો છો કોઈપણ જાતના ફોર્મ ભર્યા વિના બીજા વર્ષે પહેલા વારો આવે સહિતના ૩૧ પ્રશ્નોની યાદી સોપી છે અને પ્રશ્નો વહેલી તકે ઉકેલવામાં આવે તેવી માંગ કરી છે.