તળાજામાં ડુંગળીના મણના ૬૭૦ મળતા ખેડૂત પરિવારના વૃદ્ધા નાચવા લાગ્યા
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૨૭ :. રાજ્યમાં સૌથી વધુ ડુંગળી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખેડૂતો પકવે છે. આ વખતે સાનુકુળ વાતાવરણને લઈ ડુંગળીનો ઉતારો સારો આવ્યો છે. તેની સાથે ખેડૂતોને આજ સુધી સારા ભાવ મળી રહ્યા હોય ખેડૂત પરિવાર ખુશ ખુશહાલ છે. જેને લઈ તળાજાના એક ગામડાના ખેડૂત પરિવારના વૃદ્ધા ડુંગળીના સારા ભાવ મળતા મોજમાં આવી જઈ ડિસ્કો કરવા લાગ્યા હતા. આ ખુશીની પળને કેમેરામાં કેદ કરી વાયરલ કરવામાં આવી છે.
તળાજાના એક ગામડાના ખેડૂતને ડુંગળીના લાખો રૂપિયા આવતા ખેડૂત પરિવારના વૃદ્ધા રીતસર નાચવા લાગ્યા હતા. આ ખુશીની પળનો વૃદ્ધાના આત્મીય જનોઈ મોબાઈલમાં વિડીયો ઉતારી વાયરલ કર્યો છે. જેમાં માજી કહી રહ્યા છે મણના છસ્સો સિત્તેર રૂપિયા આવ્યા. હવે બળતરા ગઈ ! ડુંગળીના સારા ભાવ મળવાના કારણમાં ભારતમાં જ માગ છે. સાથે નાસિકની ડુંગળીનો પાક નિષ્ફળ જતા ભાવ મળી રહ્યા છે. જો કે હાલ તમામ ખેત જણસના સારા ભાવો ખેડૂતોને મળી રહ્યા છે. જેને લઈ ખેડૂત વર્ગ તળાજાનો ખુશ છે.