ભાણવડના શિક્ષિકાને જામનગર સ્થિત પતિ-સાસરીયાનો ત્રાસ
ખંભાળીયા, તા.૨૭: ભાણવડની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં અલ્પાબેન હસમુખભાઇ પરમાર (ઉ.વ.૩૯) નાએ જામનગરના ઇન્દીરા કોલોનીમાં રહેતાં પતિ હસમુખ રમેશભાઇ પરમાર, સસરા રમેશભાઇ, તથા સાસુ ગંગાબેન વિરૂધ્ધ ખંભાળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
શિક્ષીકા અલ્પાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન જામનગરના ઇન્દીરા કોલોનીમાં રહેતાં હસમુખ પરમાર સાથે જ્ઞાતિના રિતરિવાજ મુજબ ૧૩ વર્ષ પહેલાં થયા છે. અને સંતાનમાં વિશ્રૃત નામનો ૧૧ વર્ષનો પુત્ર છે. હાલ હું તેમની સાથે ભાણવડ એકલી રહું છું અને રાણા રોજીવાડા પ્રા.શાળામાં શિક્ષિકા તરીકે ૨૦૧૫થી નોકરી કરૂ છું. મારા લગ્ન થયા ત્યારે જામનગર રહેતાં હતાં લગ્નના બે વર્ષ જેવું બધાએ સારી રીતે રાખેલ પતિ પ્રાઇવેટ નોકરી કરતાં હોવાથી નોકરીએ જાય અને ન જાય તેવું કરતાં હોવાથી ઘરમાં આર્થિક મુંઝવણ ઉભી થતાં ઝગડો કરતાં હતાં અને સાસુ-સસરા પણ મેણા ટોણા મારી માથાકુટ કરતાં હતાં આથી ત્રાસી મારા પિતાને ઘરે રિસામણ ચાલી ગઇ હતી. પરંતુ મારા પિતા અને ભાઇ-ભાભીએ બધું સારું થઇ જશે તેવું આશ્વાસન આપતાં સમાધાન કરી સાસરે રહેવા આવી ગઇ હતી.
૨૦૧૫માં મારી સરકારી શાળામાં શિક્ષિકા તરીકે પસંદગી થતાં હું અને મારા પતિ ભાણવડ રહેવા આવી ગયા હતાં. અહીં આવ્યાં પછી પણ પતી નાની-નાની વાતોમાં ઝગડો કરતાં હતાં. સાસુ-સસરા અહીં થોડા દિવસ માટે રહેવા આવ્યાં ત્યારે તેઓ પણ દુઃખ ત્રાસ આપતાં હતાં હાલ મારા પતિ મને મારા પુત્રને મુકી જામનગર રહેવા ચાલ્યા ગયા છે અને કોઇપણ જાતની ખબર-અંતર પૂછવા કે સમાધાન કરવા પણ આવેલ નથી આથી પોલીસે શિક્ષીકાની ફરીયાદ પરથી જામનગર સ્થિત સાસુ, સસરા અને પતિ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.