તળાજાના ખેડૂતોને ચણાની ખરીદીના એસએમએસ ન મળતા નુકશાન : ધારાસભ્યની કૃષિમંત્રીને ફરીયાદ
દાઠા ગામ સહિતના દસેક ગામને જોડતા પુલના ફરી નિર્માણની માર્ગમંત્રી પાસે માંગ
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૨૭ : સરકાર દ્વારા ચણા પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે રાજયભરમાં ખરીદી શરૂ કરાઈ છે. પરંતુ તળાજાના ખેડૂતોને એસએમએસ ન મળતા ખેડૂતો ચણા વેચી શકયા નથી. જેથી ખેડૂતોએ આર્થિક નુકશાન વેઠવુ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
જેથી ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ રાજય કૃષિમંત્રીને રૂબરૂ મુલાકાત કરી ખેડૂતોની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. ઉપરાંત જેઓને એસએમએસ મળ્યા ન હોય તેવા ખેડૂતોને મેસેજ કરી બોલાવી ચણાની ખરીદી કરવા અંગેની રજૂઆત કરી હતી.
આ ઉપરાંત માર્ગમંત્રી પૂર્ણેશ મોદીની રૂબરૂ મુલાકાત લઈ દાઠા ગામ સહિતના દસેક ગામોને તાલુકા મથક સાથે જોડતો ધરાશાયી પુલ ફરી નિર્માણ કરવા અંગેની રજૂઆત કરી હતી. જેથી બગડ નદીમાં ચોમાસા દરમિયાન વહેતા પાણીને લીધે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.