સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th May 2022

રવિવારે જામનગરમાં સદ્‌ગુરૂ જગ્‍ગી વાસુદેવનું આગમન

જામનગરના રાજવી શત્રુશલ્‍યસિંહજીના આમંત્રણને આવકારવા થનગનાટ : નવા બેડી બંદરે આગમન થશે : સોમવારે સવારે રાજકોટમાં પધરામણી

જામનગર : જામનગરમાં રવિવારે રાજવી પરિવારના શાન સમા પ્રતાપ વિલાસ પેલેસ ખાતે સદગુરુ જગ્‍ગી વાસુદેવ મહેમાન બનવાના છે ત્‍યારે જ રાજવી પરિવારનો રાજમહેલ મનાતો પ્રતાપ વિલાસ પેલેસને દુલ્‍હનની જેમ રોશનીથી ઝળહળીત કરવામાં આવ્‍યો છે. જામનગરના રાજવી જામ સાહેબના પ્રતાપ વિલાસ પેલેસ ખાતે આગામી રવિવારે સદગુરુ જગ્‍ગી વાસુદેવ પધારનાર છે તે પૂર્વે રાજવી પરિવારના પ્રતિનિધિ એકતાબા સોઢાએ પત્રકાર પરિષદ સંબોધી માહિતી આપી હતી. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સેવ સોઈલ કેમ્‍પેઈન અંતર્ગત કૃતિ પણ રજૂ કરી હતી. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)(૨૧.૧૯)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૭ :.. રવિવારે જામનગરમાં સદ્‌્‌ગુરૂ જગ્‍ગી વાસુદેવનું આગમન થશે. જામનગરના રાજવી શત્રુશલ્‍યસિંહજીના આમંત્રણને આવકારવા થનગનાટ થઇ રહ્યો છે.

જામનગરના નેક નામદાર રાજવી શ્રી જામસાહેબ બાપુશ્રી શત્રુશલ્‍યસિંહજીના આમંત્રણને માન આપી ઇશા ફાઉન્‍ડેશનના સદ્‌્‌ગુરૂ શ્રી જગ્‍ગી વાસુદેવ તા. ર૯ ના પ્રતાપવિલાસ પેલેસ પધારી રહ્યા છે. સદ્‌્‌ગુરૂ જગ્‍ગી વાસુદેવ વિશ્વભરના ર૯ દેશોમાં ૩૦ હજાર કિલો મીટરની બાઇક સવારી કરી માટી બચાવો અભિયાન માટે જનજાગૃતિનું બીડું ઝડપ્‍યું છે તેઓની આ બાઇક યાત્રાને સમગ્ર વિશ્વમાં બહોળો પ્રતિસાદ સાંપડયો  છે, સદગુરૂ જગ્‍ગી વાસુદેવ તેમની યાત્રા પૂર્ણ કરી ભારતમાં પ્રથમ જામનગર પધારી  રહ્યા છે જે એક ઐતિહાસિક પ્રસંગ બનવા જઇ રહ્યો છે.

ઓમાન મસ્‍કદથી આવતું સદ્‌્‌ગુરૂનું વહાણ બપોરે૧ર-૩૦ વાગ્‍યે નવા બેડીબંદર પહોંચશે જયાં રાજવી પરિવારનું પ્રતિનિધિ કરતાં એકતાબા સોઢા તેઓનું સ્‍વાગત કરશે. ત્‍યારબાદ જામનગરનાં ધર્મગુરૂઓ, રાજકીય મહાનુભાવો, આર્મી, નેવી, એરફોર્સના પ્રતિનિધીઓ તેઓનું સ્‍વાગત કરશે. સદગુરૂનાં સ્‍વાગત કચ્‍છી ઢોલના નાદથી કરવામાં આવશે. ત્‍યારબાદ સદ્‌્‌ગુરૂ મીડિયાને સંબોધન કરશે.

સદ્‌્‌ગુરૂ વિભિન્ન સંસ્‍થાઓના પ્રતિનિધીઓને મળી આઇ. એન. એસ. વાલસુરા તરફ પ્રસ્‍થાન કરશે. જયાં તેમનું સ્‍વાગત નેવીના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે. નોંધને પાત્ર છે કે નવાનગર સ્‍ટેટની ચાર ગાડીઓનો કાફલો તેમની સાથે  ચાલશે.

ત્‍યારબાદ આઇ. એન. એસ. વાલસુરા થી સદ્‌્‌ગુરૂ જામસાહેબને મળવા તેઓના નિવાસ સ્‍થાન પહોંચશે અને જામસાહેબ સાથે અલગ અલગ મુદાઓ પર ચર્ચા  કરશે જયાંથી સદ્‌્‌ગુરૂ પ્રતાપ વિલાસ પેલેસ માટે રવાના થશે.

સાંજે ૪.૩૦ વાગ્‍યે સદ્‌્‌ગુરૂ ‘' અંતગર્ત મીડિયા અને સોશ્‍યલ મીડીયા અને ઇન્‍ફલુએર્ન્‍શને સંબોધિત કરશે.

સાંજે પ.૩૦ વાગ્‍યે ડી. કે. વી. સર્કલથી સદ્‌્‌ગુરૂ પેલેસ રોડ તરફ પ્રસ્‍થાન કરશે ત્‍યાં ભવ્‍ય સાંસ્‍કૃતિક કાર્યક્રમનું આયોજન કરેલ છે.

પ્રતાપ વિલાસ પેલેસમાં કચ્‍છી કારીગરોની પ્રદર્શની નિહાળી સદ્‌્‌ગુરૂ મહાનુભાવો વચ્‍ચે પધારશે. ત્‍યારબાદ ડાયસ  પર પધારી સદ્‌્‌ગુરૂ લોકોને ૪પ મિનીટ માટે સંબોધિત કરશે.

જામનગરની જનતાને પ્રથમવાર જામસાહેબના આંગણે કાર્યક્રમને નિહાળવાનો અવસર મળશે. આ તકે જામનગરની જનતાને નવાપોર્ટ પર સવારે ૧૧ વાગ્‍યે તેમજ સાંજે  પ વાગ્‍યે ડી. કે. વી. સર્કલથી પેલેસ રોડ સુધી સદ્‌્‌ગુરૂને આવકારવાનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ માણવાનો મોકો મળશે.

જામનગર બંદરે દિગ્‍વીજયસિંહજીના વખતે પોલેન્‍ડના વિદ્યાર્થી ઉતરેલ ત્‍યારબાદ પ્રથમ વખત જામનગર બંદરે જગ્‍ગી વાસુદેવ ઉતરવાના છે. સોમવારે સવારે નવ વાગ્‍યે નાસ્‍તો કરી રાજકોટ જવા રવાના થશે.

સદ્દગુરૂ વિશે

કોઇમ્‍બુતર સ્‍થિત ઇશા ફાઉન્‍ડેશનના સદ્દગુરૂ જગ્‍ગી વાસુદેવ પોતાની દિર્ઘદ્રષ્‍ટિથી પ્રાકૃતિક મુદ્દાઓ અને સામાજીક મુદ્દાઓને બીડું ઝડપી સમાજના તમામ વર્ગને એકત્રીત કરવાનું એક ઉદાહરણ પુરૂં પાડે છે. ૨૦૧૭માં સદગુરૂ જગ્‍ગી વાસુદેવની રેલી ફોર રીવર્સ નામના ઝુંબેશમાં ૧૬ કરોડ લોકો જોડાયેલા હતા. આ ઝુંબેશઅંતગર્ત ૧ લાખ રપ હજાર ખેડૂતોને સાથે રાખીને ૨૪ કરોડ વૃક્ષનું આરોપણ કરવાનોં ભવ્‍ય સંકલ્‍પ હાથ ધરેલ.

સેવ સોઇલ

ગત ર૧ માર્ચ ૨૦૨૨ થી સદ્દગુરૂ જગ્‍ગી વાસુદેવે સેવ સોઇલ નામની ઝુંબેશ ઉપાડેલ છે. વિશ્વના ભૂ-વૈજ્ઞાનિકોએ તથા યુ.એન. એજન્‍સી દ્વારા વિશ્વભરના દેશોમાં સંશોધન કરાતા તે તારણ કાઢયું કે માટીની ફળદ્રુપતા દિવસેને દિવસે ઘટી રહી છે. ૨૦૪૫ સુધી વિશ્વભરમાં અન્નુ ઉત્‍પાદનમાં ૪૦ ટકા થી ૫૦ ટકાનો ઘટાડો આવશે. ખાદ્યપદાર્થની અછતના કારણે વિશ્વભરમાં આંતરીક યુધ્‍ધ સર્જાય તેવી પરિસ્‍થિતિ ઉભી થાય તેવું અનુમાન છે. વિશ્વને આવા કપરા સમયથી બચાવવા જગ્‍ગી વાસુદેવે સેવ સોઇલ અભિયાન હાથ ધરેલ છે. તેના અંતગર્ત સદગુરૂ જગ્‍ગી વાસુદેવ વિશ્વના ર૭ દેશોમાં ૩૦ હજાર કીલોમીટર બાઇક ચલાવી તેનો પ્રચાર કરી રહ્યાં છે.

સદ્દગુરૂ જે રાષ્‍ટ્રનાયક સમાન છે, તેઓને વિદેશનો પ્રવાસ પુરો કરી ભારતમાં પ્રવેશ માટે જામનગરની ભૂમિ પર નેકનામદાર જામસાહેબે આમંત્રણ પાઠવેલ જે તેમને હર્ષ સહ સ્‍વીકારેલ છે.

જામ સાહેબ વિશે

નવાનગરના રાજવી નેકનામદાર શ્રી જામસાહેબના પ્રકૃતિપ્રેમ વિશે આપણે સોૈ જાણીએ છીએ, સર પીટર સ્‍કોટ નેચર્સ પાર્કમાં પશુ-પક્ષીઓનો વર્ષોથી વસવાટ તથા તેમની માવજત જામસમહેબની સંવેદનશીલતાનું પ્રતિક છે. બરડો ડુંગર જ્‍યારે જામસાહેબનું આગણું હોય ત્‍યારે બરડા ડુંગર પ્રત્‍યેનો પ્રેમ અને પ્રાકૃતિક જનત વિશે જામનગરની જનતા અચુક જાણે છે. જામસાહેબ અને સદ્દગુરૂની પ્રકૃતિ પ્રત્‍યેની સંવેદનશીલ જોડતી કડી જે નોંધપાત્ર છે. જામનગરના ઇતિહાસ તરફ નજક કરીએ તો દ્વિતીય વિશ્વયુધ્‍ધ દરમિયાન જ્‍યારે જર્મનીએ પોલેન્‍ડ પર આક્રમણ કરેલ હતું ત્‍યારે પોલેન્‍ડના ૨૦૦ શરણાર્થીઓ દેશ-દેશ ભટકતા હતા ત્‍યારે દરેક દેશ તેઓની ખોરાક અને દવા દારૂની મદદ કરવા તૈયાર હતા પરંતુ કોઇપણ દેશ તેઓને શરણ આપવા તૈયાર ન હતા. આ કપરી પરિસ્‍થિતી જોઇ જામસાહેબશ્રી દિગ્‍વીજયસિંહ પોલેન્‍ડ નાગરીકોની પીડા જોઇ ન શકયા ત્‍યારે તેઓ ઇમ્‍પરીયલ વોલ કેબીનેટના સભ્‍ય પણ હતા તેઓએ જામનગરના બંદરમાં પોલીશ નાગરીકોનું સ્‍વાગત કરી અને માત્ર શરણ જ નહી પણ તેઓના ભણતર અને વિકાસને પણ ખુબજ મહત્‍વ આપ્‍યુ હતું. આવો સોનેરી ઇતિહાસ ધરાવતા જામસાહેબના નામની શપથ આજે પણ પોલેન્‍ડના સાંસદમાં લેવાઇ છે.

જામનગર બંદર એ એક કાર્ગોપોર્ટ છે, પરંતુ દ્વિતીય વિશ્વયુધ્‍ધ દરમિયાન પોલીશ બાળકોને આવકારવા એ પહેલો સિવિલિયન કિસ્‍સો હતો તે નેકનામદાર શ્રી જામસાહેબ દિગ્‍વિજયસિંહજીના આમંત્રણથી શક્‍ય બન્‍યું હતું. આજે સદ્દગુરૂને પાઠવેલ આમંત્રણથી ઇતિહાસનું ફરી પુનરાવર્તન થશે કે રાજવી પરિવાર દ્વારા ફરી એક વખત જામનગર બંદર પર સ્‍પેશ્‍યલ પરમિશનથી જામસાહેબના મહેમાન સદ્દગુરૂનું આગમન થશે.

આ કાર્યક્રમનું નેતૃત્‍વ જામસાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા કરશે. એકતાબા સોઢા પોતે જામસાહેબની જેમ પ્રકૃતિ પ્રત્‍યે ખૂબજ સંવેદનશીલ  છે. સેવ સોઇલ કેમ્‍પેઇન અંતર્ગત તેઓએ જામનગરમાં પાંચ હજાર વૃક્ષો આરોપણ કરવાનું સંકલ્‍પ લીધેલ છે. એકતાબા સોઢાની ઓગેવાની હેઠળ કાર્યક્રમને સફળ બનાવવાની યુધ્‍ધના ધોરણે તૈયારીઓ ચાલી રહી છે.

(11:22 am IST)