ઉપલેટામાં પૂ. જીજ્ઞેશદાદાની ભાગવત સપ્તાહમાં સૌરાષ્ટ્રભરમાંથી રાજકીય સામાજીક સહીત તમામ ક્ષેત્રના આગેવાનોની વિશાળ હાજરી
જ્ઞાન અને ઉંમરને કોઇ લેવા દેવા નથી પ્રહલાદને સાત વર્ષે જ્ઞાન આવી ગયું હતું: પહેલા યુધ્ધમાં ધર્મ હતો હવે ધર્મમાં યુધ્ધ આવી ગયું છેઃ જીજ્ઞેશદાદા
(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા., ૨૭: અહીના મો.લા. પટેલ નગર સામે દાસી જીવણ સત્સંગ મંડળ અને લોકપ્રિય સાંસદ રમેશભાઇ ધડુક દ્વારા તા.ર૪ થી ૩૦ સુધી સુપ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદા (રાધે રાધે)ની ભાગવત સપ્તાહ ભવ્યાતિભવ્ય સ્ટેજ સમીયાણો શ્રોતાઓને બેસવાની સુંદર વ્યવસ્થા હાઇરાઇડ ડીઝીટલ લાઇટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ સાથે ભાગવત સપ્તાહ શરૂ થઇ છે. જેમાં રોજ સૌરાષ્ટ્રભરના ગામોમાંથી રાજકીય સામાજીક ધાર્મિક સેવાકીય આગેવાનો ઉદ્યોગપતિઓ ઉચ્ચ અધિકારીઓ સાંસદ સભ્યો પત્રકારો શિક્ષણવિદો વિગેરે કથા શ્રવણ કરવા પધારે છે તેમના માટે સોફા અને ખુરશીમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પધારતા મહેમાનોનું સાંસદ રમેશભાઇ ધડુક તથા તેમના પરિવાર દ્વારા ખેસ પહેરાવી ઉમળકાભર્યુ સ્વાગત કરવામાં આવે છે. ર૦૦૦ થી વધુ આગેવાનો અને કાર્યકરોની ફોજ વ્યવસ્થા માટે સેવા આપી રહી છે. ઉનાળાની ઋતુને ધ્યાને કથાનો સમય પણ રાત્રીના ૮.૩૦ થી ૧૧.૩૦ નો રાખવામાં આવ્યો છે તેમજ આ કથાનું લક્ષ્ય ચેનલ ઉપર લાઇવ પ્રસારણ પણ કરવામાં આવે છે. સંગીતમય શૈલીમાં પૂ. દાદાના મુખે કથાનું શ્રવણ કરવુ એ એક લ્હાવો છે.
આજે કથાના ત્રીજા દિવસે વ્યાસપીઠ ઉપરથી પૂ. દાદાએ જણાવેલ કે જ્ઞાન અને ઉંમરને કોઇ લેવા દેવા નથી. પ્રહલાદને સાત વર્ષે જ્ઞાન આવી ગયું હતું અને પહેલા યુધ્ધમાં ધર્મ હતો. હવે ધર્મમાં યુધ્ધ આવી ગયું છે. વધુમાં તેમણે જણાવેલ કે જીવતા માણસને લોકો ટેકો નથી આપતા મરી ગયા પછી તેમને કાંધ દેવા માટે પળાપળી કરે છે ખોટો દેખાડો કરે છે ત્યારે જીવતાને જ ટેકો આપવો જોઇએ અને બીજાની ઇર્ષા કરી કયારેય કોઇ સુખી ન થઇ શકે.