સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th May 2022

જસદણ-વિંછીયા પાસે બે અકસ્‍માતઃ બેના મોત

જસદણના દેવપરા પાસે બે બાઇક ટકરાતા બાબરાના કલોરાણાના સાગર વાઘેલા તથા વિંછીયા પાસે ડમ્‍પર હડફેટે ગુંદાળાના વનરાજભાઇ કોળીનું મોત

રાજકોટ તા. ર૭ :.. જસદણ અને વિંછીયા પાસે અલગ અલગ બે અકસ્‍માતના બનાવમાં બે વ્‍યકિતઓના મોત નીપજયા હતાં.

પ્રથમબનાવમાં જસદણના જસદણના વિંછીયા રોડ ઉપર દેવપરા ગામના પાટીયા પાસે ડીસ્‍કવર બાઇક નં. એ. કે. ૮૩૭૩ ના ચાલકે અન્‍ય બાઇકને ટકકર મારતા આ બાઇકમાં બેઠેલા સાગર ધીરૂભાઇ વાઘેલા (ઉ.૧૭) રે. કલોરાણા ગામ તા. બાબરાને તેનું મોત નિપજયું હતું. જયારે બાઇકમાં બેઠેલા કાજલબેન, તેના પતિ વિપુલભાઇ અને પુત્ર ભૌતીકને નાની-મોટી ઇજાથતા સારવાર અર્થે જસદણ હોસ્‍પીટલમાં ખસેડાયા   હતાં. અકસ્‍માતમાં મૃત્‍યુ પામનાર સાગર બે ભાઇઓમાં મોટો હતો અને હિરા ઘસવાનું કામ કરતો હતો. બનાવ  અંગે ઇજાગ્રસ્‍ત કાજલબેનની ફરીયાદ ઉપરથી જસદણ પોલીસે બાઇક ચાલક સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં વિંછીયા પાસે લાલાવદર રોડના ડમ્‍પરે બાઇકને ઉલાળતા બાઇક સ્‍વાર વનરાજભાઇ કાવાભાઇ ભુસડીયા (ઉ.વ.૪ર) રે. ગુંદાળા તા. વિંછીયાને ગંભીર ઇજા થતા ઘટના સ્‍થળે જ મોત નિપજયું હતું. મૃતક વનરાજભાઇ ખેતીકામ કરતા હતા અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. મૃતક વનરાજભાઇને પત્‍નીનું પણ સાતેક વર્ષ પૂર્વે નિધન થતા ત્રણેય સંતાનોએ પ્રથમ માતા બાદ પિતાની પણ છત્રછાંયા ગુમાવતા કોળી પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બનાવ અંગે મૃતકના ભાઇ વિરજીભાઇની ફરીયાદ ઉપરથી વિંછીયા પોલીસે ડમ્‍પર ચાલક સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:39 pm IST)