સંમેલન સ્થળ નજીક ઝાડ પડતાં મોરબીના કારખાનેદાર જગદીશભાઇ કોટકનું મોત
સંમેલન પુરૂ થયે ચાલીને કાર તરફ જતી વખતે બનાવઃ રાજકોટમાં દમ તોડયોઃ પરિવારમાં ગમગીની
રાજકોટ તા. ૨૭: વાંકાનેરમાં રાતીદેવડી રોડ પર ગઇકાલે યોજાયેલા જીતુભાઇ સોમાણીના સંમેલનમાં ગામે ગામથી લોકો ઉમટી પડયા હતાં. સંમેલન પુરૂ થયા બાદ નજીકમાં પાર્ક કરેલી પોતાની કાર તરફ ચાલીને જઇ રહેલા મોરબીના લોહાણા કારખાનેદાર ઉપર ઝાડ પરતાં ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ મોરબીમાં સનાળા રોડ પર શિવા પેલેસમાં રહેતાં અને મોરબી જીઆઇડીસીમાં નટ બોલ્ટનું કારખાનુ ધરાવતાં જગદીશભાઇ ડાયાભાઇ કોટક (ઉ.વ.૬૫) ગઇકાલે વાંકાનેરમાં રાતીદેવળી રોડ પર યોજાયેલા જીતુભાઇના સંમેલનમાં હાજરી આપવા આવ્યા હતાં. સંમેલન પુરૂ થયા બાદ તેઓ ચાલીને નજીકના મંદિર પાસે પાર્ક કરેલી પોતાની કાર પાસે જઇ રહ્યા હતાં ત્યારે એકાએક ઝાડ તૂટીને જગદીશભાઇની માથે પડતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.
જગદીશભાઇ ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર છે. વાંકાનેર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી