કચ્છ કલેકટરે બહાર પાડેલા મોહરમના જાહેરનામા સામે હાઇકોર્ટમાં પડકાર : કલેકટર ઉપર સત્તાની ઉપરવટ જઈ નિર્ણય લીધાનો આક્ષેપ, ઈમામવાડામાં ધાર્મિક પ્રવૃત્તિઓના રોક સામે અરજી
(ભુજ) અખિલ કચ્છ મોહરમ અને તાજીયા કમિટીએ કચ્છ કલેકટર પ્રવિણા ડીકે દ્વારા મોહરમ અંતર્ગત બહાર પડાયેલા જાહેરનામાને હાઇકોર્ટમાં પડકાર્યું છે. કચ્છ કલેકટરે ૩૧ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરે મોહરમની ઉજવણી દરમ્યાન ઈમામવાડામાં થતી મજલીસો, ઈબાદત સહિતની ધાર્મિક પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નિર્ણય સામે દાખલ કરાયેલ રિટ પિટિશનમાં જણાવ્યા પ્રમાણે કલેક્ટરનો આદેશ તેની સત્તાની ઉપરવટનો છે. મુસ્લિમ બિરાદરોને ઈમામવાડાની અંદર ધાર્મિક પ્રવૃત્તિઓ નહીં કરવા દેવાના ફરમાનથી મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવું આ ફરમાન છે. અરજદાર દ્વારા કરાયેલી રજુઆતમાં અમદાવાદ, સુરતના પોલીસ કમિશનરો દ્વારા પણ ઈમામવાડાની અંદર થતી ધાર્મિક પ્રવૃતિઓ ઉપર રોક લગાડવામાં આવ્યો નથી. મોહરમમાં ઈમામવાડાની ધાર્મિક પ્રવૃતિઓનું મહત્વ ખૂબ હોઈ કચ્છ કલેક્ટરનો હુકમ રદ્દ કરી મંજૂરી આપવા દાદ મગાઈ છે. દરમ્યાન ઈમામવાડાની અંદર કોવિડ ૧૯ ના નિયમો અને ગાઈડલાઈનનું પાલન કરાશે એવું પણ અરજદારે જણાવ્યું છે.