કચ્છમાં નવા ૨૨ કેસ : વધુ બેના મોત
ભુજના પદ્ધર ગામે કોરોનાના દર્દીની નાસભાગે લોકોમાં સર્જ્યો ઉચાટ
ભુજ,તા. ૨૭:કચ્છમાં હડકંપ મચાવતા કોરોનાના કેસો વચ્ચે હવે દર્દી વિશેની માહિતીના અભાવથી જાણ્યે અજાણ્યે સંપર્કમાં આવેલા લોકોમાં ભારે ફફડાટ રહ્યા કરે છે. દરમ્યાન કચ્છમાં ગઈકાલે વધુ ૨૨ કેસ સાથે કુલ સંખ્યા ૧૧૮૮ ઉપર પહોંચી છે. સાજા થયેલાઓનો આંક ૮૬૬ જયારે એકિટવ કેસ ૨૬૦ છે. સરવાળા બાદબાકીઓ પ્રમાણે ઘટતાં દર્દીઓની સંખ્યા વચ્ચે તંત્રએ વધુ ૨ મોત થયા હોવાનું જણાવી મૃત્યુ પામનારાઓની માહિતી આપવાનું ટાળ્યું છે.
નવા ૨૪ કેસ વચ્ચે ભુજમાં સૌથી વધુ ૧૨ કેસ નોંધાયા છે. જોકે, ભુજના પદ્ઘર ગામે કોરોના પોઝિટિવ યુવાન નાસી છુટતા લોકોના જીવ અદ્ઘર થયા હતા, અંતે શોધખોળ પછી કોરોના પોઝિટિવ યુવાન વાડીમાં છુપાયેલો મળી આવતા લોકોએ તંત્રને સોંપ્યો હતો. અન્ય કેસમાં અંજારમાં ૪, ગાંધીધામમાં ૬, માંડવીમાં ૨ કેસ નોંધાયા છે.