સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

હડમતાળાની પારમેકસ (માલ્વીન) ફાર્મા લી.ને સીલ કરવા આદેશ

બહુચર્ચિત પ્રદુષણ પ્રકરણમાં તંત્રનું પગલું

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.૨૭ : પ્રદુષણ મુદ્દે બહું ચર્ચિત બનેલ હડમતાળા જીઆઇડીસીમાં આવેલ પારમેકસ (માલ્વીન)ફાર્મા.લી.નામે દવા બનાવતી ફેકટરી ને સીલ કરવાં રાજકોટ પ્રાંત અધિકારી એ આદેશ કરતાં જીઆઇડીસી વિસ્તારમાં ચકચાર જાગી છે.ફેકટરીનાં પ્રદુષણ અંગે અનેક વિવાદો બાદ તંત્ર દ્વારા આકરું પગલું લેવાયું છે.બીજી બાજું ફેકટરી માલીક દ્વારા પોતે પ્રોડકટસ બંધ કરી દિધાં નું જણાવી તંત્ર નાં હુકમ સામે ઉચ્ચ કક્ષાએ લડત અપાશે તેવું જણાવાયું હતું

કોટડાસાંગાણી મામલતદાર દ્વારા પંચરોજ કામ કરી સીલ કરવાં પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજી. ચરણસિંહ ગોહિલે આદેશ કર્યો હતો.આદેશમાં જણાવાયું હતું કે આ ફેકટરી દ્વારા પ્રદુષણ ફેલાવાતું હોય પર્યાવરણ તથાં સમાજને નુકશાન કરતું હોય ફેકટરી અન્ય હુકમ ના થાય ત્યાં સુધી બંધ કરવી.

તંત્ર દ્વારા ફેકટરી સીલ કરવાં અંગે ફેકટરી માલીક અલ્કેશભાઈ ગોસલીયાએ જણાવ્યું કે રજુઆતની તક અપાયાં વગર એક પક્ષીય આદેશ કરાયો છે. પ્રદુષિત પાણી જે વાત છે તે વરસાદ નું પાણી છે.જેને ફરતે લીલું ઘાસ ઉગ્યું છે.તો પ્રદુષણ શેનું? આદેશનાં પગલે તેમણે સ્વૈચ્છિક પ્રોડકશન બંધ કરી દિધાંનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે હડમતાળા જીઆઇડીસીમાં દવા બનાવતી ફેકટરીઓ દ્વારા દુષીત પાણી છોડી પશુ પંખી સહીત માનવજીવને હાની પંહોચે તે રીતે પ્રદુષણ ફેલાતું હોવાં અંગે ભુણાવાનાં આગેવાન વિક્રમસિંહ નોંઘુભા જાડેજા દ્વારા પ્રદુષણ નિયંત્રણ બોડ સહીત ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી ઉપવાસ આંદોલન અને આત્મવિલોપન નાં પ્રયાસ સુધી લડત અપાઇ હતી.સામાં પક્ષે વિક્રમસિંહ જાડેજા સામે ખંડણી સહીતની ફરીયાદો થઇ હતી.આમ પ્રદુષણનો મુદ્દો સમગ્ર ગોંડલ પંથક અને જીઆઇડીસીમાં ચકચારી બનવાં પામ્યો હતો.

પારમેકસ બાદ અન્ય એક ફેકટરી સામે પણ પગલાં તોળાઈ રહયાંનું માહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું.

(11:25 am IST)