ભાવનગરમાં લોખંડના ટીપડામાં ફસાઇ જતા ગૂંગળાઇ જવાથી મુસ્લિમ વેપારીનું મોત
ભાવનગર તા. ૨૭ : ભાવનગર શહેરમાં કરીયાણાની દુકાનમાં અનાજના ટીપડામાં ફસાઇ જતા ગુંગળાઇ જતા આધેડનું મોત નિપજ્યું હતું.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના સ્ટેશન રોડ, મસ્તરામ સ્કુલની બાજુમાં દાણાપીઠ ખાતે રહેતા અને નસીબ પ્રોવિઝન સ્ટોર ચલાવતા આરીફભાઇ નુરમહંમદભાઇ લાખાણી (ઉ.૬૫) નામના વૃધ્ધનો તેમની દુકાનમાં લોખંડના ટીપડામાંથી મૃતદેહ મળી આવતા પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.
મૃતક વૃધ્ધ દુકાનની અનાજની વસ્તુઓ લોખંડના મોટા ટીપડામાં રાખતા હતા અને તે વસ્તુ જોવા જતા બેલેન્સ ન રહેતા તેઓ ટીપડામાં ફસાઇ જતાં ગુંગળામણને કારણે શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયું હોવાનું પરિવારના સભ્યો અને પોલીસે જણાવ્યું હતું. આ અંગે સી-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.