ડો.સુભાષ યુનિવર્સિટી ખાતે ઉજવાયો વિશ્વ ફાર્માસીસ્ટ દિવસ
ભવનાથ ખાતે યોજાયો હેલ્થકેર ચેકઅપ કેમ્પ
જૂનાગઢ,તા. ૨૭ : દર વર્ષે ૨૫ સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસીસ્ટ દિવસ તરીકે ઉજવાય છે. આ અંતર્ગત ડો. સુભાષ યુનિવર્સિટી, સ્કૂલ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની બે-દિવસીય ભવ્યભેર ઉજવણી કરવામાં આવી.
તા. ૨૪ સપ્ટેમ્બર, શનિવારના રોજ સ્કૂલ ઓફ ફાર્મસી દ્વારા બી.ફાર્મના વિદ્યાર્થીઓ માટે એજયુકેશનલ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત વિદ્યાર્થીઓએ આયુર્વેદિક કોલેજ કેમ્પસ ખાતે આવેલું રૈવત બોટનિકલ ગાર્ડન (હર્બલ ગાર્ડન) તેમજ GMERS સિવિલ હોસ્પિટલ, જૂનાગઢની મુલાકાત લીધી હતી. રૈવત બોટનિકલ ગાર્ડન ખાતે ડો. આરતી તેમજ ત્યાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે ત્યાંના સ્ટાફ મેમ્બરો દ્વારા ફાર્માસિસ્ટની કામગીરી અંગે સંપૂર્ણ જાણકારી પૂરી પાડવામાં આવી હતી.
તેમજ બીજા દિવસે તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૨, રવિવારના રોજ સાંજે ૬ થી ૯ ભવનાથ ગ્રાઉન્ડ ખાતે સ્વાસ્થ્ય જાળવણી સબંધિત જાગૃતતા અંગે કેમ્પ યોજી વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કેમ્પ દરમિયાન હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, મેદસ્વીતા, ફૂડ એલર્જી જેવા રોગ અંગે જાગૃતતા ફેલાવવામાં આવી હતી તેમજ સમાજમાં ફાર્માસિસ્ટનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્કૂલ ઓફ ફાર્મસી, ડો. સુભાષ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બોડી માસ ઈન્ડેક્સ (BMI), બી.પી. તેમજ બ્લડ સુગર લેવલ ચેક-અપનું પણ આયોજન કરાયું હતું. બહોળી સંખ્યામાં લોકોએ આ ‘હેલ્થકેર અવરનેસ કેમ્પ' નો લાભ લીધો હતો. અંતમાં ફાર્મસી વિભાગના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શપથ ગ્રહણ કરાઈ હતી.
સ્કૂલ ઓફ ફાર્મસીની આ કામગીરીને યુનિવર્સિટી કેમ્પસ ડિરેક્ટર તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડાએ બિરદાવી હતી.