લખતર પંથકમાં ભારે વરસાદથી
ખેડૂતોની નુકશાનીનો અંદાજ કાઢવા કોંગી ધારાસભ્ય દ્વારા ડ્રોનથી સર્વે કરાયો
વણા,તરમણીયા,કળમ, માલિકા સહિતના ગામોમાં ડ્રોનથી સર્વેનો પ્રારંભ
(ફઝલ ચૌહાણ દ્વારા) હળવદ તા.૨૮ : લખતર તાલુકામાં છેલ્લા પંદર દિવસથી ભારે વરસાદ પડતાં ખેત જમીનમાં પાણી ભરાઈ રહેવા પામ્યા છે, ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતોના ઉભો પાકમાં પાણી ભરાઇ રહેવાના કારણે બળી જવાની ભીતિ વ્યકત થવા પામી છે, ત્યારે આ બાબતે ખેડૂતોએ સરકાર સમક્ષ અને તંત્ર સમક્ષ નુકસાની સર્વે કરવાની માંગ ઉઠાવી છે.
આ કપરા સમયમાં દસાડા લખતરના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી, તાલુકા પંચાયત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શકિતસિંહ રાણા, તાલુકા પંચાયત પ્રમુખ અજયસિંહ રાણા, ભરતસિંહ પરમાર, મહેન્દ્રભાઈ વાદ્યેલા વિગેરેઓએ ડ્રોન ઉડાડીને નુકસાની નો સર્વે હાથ ધરવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે, લખતર તાલુકાના વણા, તરમણીયા, કળમ, માલિકા સહિતના ગામોની સીમ જમીન ઉપર ડ્રોન ઉડાડીને ખેતરો માં થયેલ નુકસાનીનો સર્વે હાથ ધર્યો હતો.
આ નુકસાની સર્વે રિપોર્ટના આધારે રાજય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઈ એ સરકાર સમક્ષ માંગ કરી છે.