મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર જિલ્લાના હડમતાળા ગામે કાળુંભાર નદી પર ચેકડેમ નિર્માણ માટે રૂ. ૨ કરોડ ૫૩ લાખ મંજુર કર્યા
ચેકડેમ નિર્માણથી જળસ્તર ઊંચા આવશે
ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના હડમતાળા ગામે કાળુભાર નદીતર ચેકડેમ બનાવવા માટે રૂ. ૨ કરોડ ૫૩ લાખની રકમ મંજુર કરેલ છે. ચેકડેમ ના નિર્માણથી આસપાસના જલસ્તર ઊંચા આવશે. ઊમરાળા-વલ્લભીપૂર વિસ્તારના પાણીની તંગી ભોગવતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડા ગયેલા ગામોની ૧૬૦ હેકટર વિસ્તાર જમીનમાં આ ચેકડેમ નિર્માણથી લાભ થશે અને જળસ્તર ઊંચા આવશે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પાણીની અછત નિવારી સુદ્રઢ જળ વ્યવસ્થાપન દ્વારા ગુજરાતને વોટર ડેફિસીટથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવવાના કરેલા સંકલ્પમાં આ ચેકડેમનું નિર્માણ વધુ બળ આપશે. હડમતાળા ગામે નિર્માણ થનારા આ ચેકડેમમાં ૧૧.ર૦ એમસીએફટી પાણીનો સંગ્રહ થશે અને સિંચાઇ સુવિધા પૂરતી મળતી થવાથી આ વિસ્તારના હડમતાળા, વાંગ્રધા અને તરપળ ગામોના ખેડૂતો ત્રણેય મોસમમાં પાક લઇ શકશે. આ ચેકડેમ નિર્માણમાં કોઇ હયાત ચેકડેમ, રસ્તો, ખેતર કે ખાનગી મિલ્કત ડૂબાણમાં જવાના નથી.