સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th September 2022

અમદાવાદનાં ટ્રાન્‍સપોર્ટર સુરેશ શાહ હત્‍યા કેસનાં મુખ્‍ય આરોપી ગોંડલ સબ જેલમા રહેલા રાજુ શેખવાના કાયમી જામીન ના મંજુર કરતી હાઇકોર્ટ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૨૭: અમદાવાદનાં વાસણા વિસ્‍તારની લાવણ્‍ય સોસાયટીમાં ૧૦ માર્ચ ૨૦૧૮ના વિશ્‍વેશ્વર મહાદેવના મંદિરમાં જાણીતા ટ્રાન્‍સપોર્ટર સુરેશ શાહની અંધાધુંધ ગોળીબાર કરી કરાયેલી કરપીણ હત્‍યાનાં માસ્‍ટર માઇન્‍ડ અને અપહરણ મારામારી મર્ડર જેવા ગુન્‍હાઓમા સંડોવાયેલા અને હાલ ગોંડલ સબ જેલમા રહેલા કુખ્‍યાત રાજુ શેખવાએ હાઇકોર્ટમા કરેલી કાયમી જામીન અરજી ના મંજુર કરાઇ છે.

ચકચારી બનેલા મર્ડર કેસની સનસનીખેજ વિગતો મુજબ

રાજુ શેખવા એ અમરેલી સબ જેલ માં સુરેશ શાહની હત્‍યાનો પ્‍લાન ઘડ્‍યો હતો. અમદાવાદના એફસીઆઇના મેનેજર બાબુલાલ જાદવ મર્ડર કેસમાં રાજુ શેખવા અમરેલી જેલમાં સજા ભોગવી રહ્યો હતો. ત્‍યારે રાજકોટના પરેશગીરી ગૌસ્‍વામી મર્ડર કેસમા આજીવન સજા ભોગવી રહેલા ઘનશ્‍યામ કણક સાથે રાજુ શેખવાને મિત્રતા બંધાઈ હોય સુરેશ શાહનુ મર્ડર કરવા રાજુ શેખવા એ ઘનશ્‍યામ કણકને પેરોલ પર બહાર કાઢી સુરેશ શાહનુ મર્ડર કરાવી ચુપચાપ અમરેલી જેલમાં ફરી પરત હાજર કરાવી દીધો હતો.

અમદાવાદ ખાતે સતત એક મહીના સુધી સુરેશ શાહના મકાન તથા ધંધાના સ્‍થળે રાજુ શેખવાના શુટરોએ રેકી કરી હત્‍યાને અંજામ આપ્‍યો હતો.

હત્‍યા કેસની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરી અમદાવાદથી એલમ ખાન અને રફીક નામના બે શાર્પ શુટરોને દબોચી લેવાયા હતા. બાદમાં અન્‍ય આરોપીઓ પણ પોલીસની ગીરહબાનમાં આવી ગયા હતા.

સુરેશ શાહ પણ પહોંચતી માયા હતો. અમદાવાદના પ્રદિપ ડોન તથા ખાડીયાના ગૌતમ દાઢી મર્ડર કેસમા સુરેશ શાહની સંડોવણી બહાર આવી હતી. વર્ષ ૨૦૦૯મા સુરેશ શાહે પાલડીમા રાજુ શેખવા પર ફાયરિંગ કરાવ્‍યા હોય બદલો લેવા રાજુ શેખવાએ ૫૦ લાખની સોપારી આપી શુટરો દ્વારા તેનુ મર્ડર કરાવ્‍યુ હતુ.

ગોંડલ સબ જેલમાં આઇજીની સ્‍કવોડ દ્વારા રાત્રી વેળા કરાયેલ જડતીમા રાજુ શેખવા પાસેથી બે મોબાઇલ મળી આવતા તત્‍કાલીન તેને વડોદરા સેન્‍ટ્રલ જેલ ખાતે ધકેલી દેવાયો હતો. પરંતુ ઉચ્‍ચ રાજકીય વગ ધરાવતો રાજુ શેખવા ટુંક સમયમાં જ વડોદરાથી ફરી ગોંડલ સબ જેલમાં પરત આવી ગયો છે.

(10:13 am IST)