આત્મનિર્ભર મહિલા કિસાન પખવાડિયાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વર્કશોપ યોજાયો
સુરેન્દ્રનગર:આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૫ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર સુધી “આત્મનિર્ભર મહિલા કિસાન પખવાડિયા”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સુરેન્દ્રનગર ખાતે ફાર્મ લાઈવલીહુડ અંગેની એક કાર્યશાળા/વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં દીનદયાળ અંત્યોદય યોજના– રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ તાલુકા કક્ષાએ કાર્યરત તાલુકા સ્ટાફ સહિતના જોડાયા હતા.
જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ નિયામક પશુપાલન, પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી આત્મા, નાયબ બાગાયત નિયામક દ્વારા ખેતી, પશુપાલન, ડેરી, આત્મા અને બાગાયત વિભાગની યોજનાઓની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપને સફળ બનાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી/કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.