એસટી કંડકટરની પ્રમાણિકતા
બસમાંથી ૧II લાખ રોકડા મળ્યા જેમના હતા તે વૃધ્ધને પરત કરી દેવાયા : પરિવારમાં હર્ષના અશ્રુ
રાજકોટ તા. ૨૮ : રાજકોટ - જામનગર એસટી બસ કે જે વાયા કાલાવાડ થઇને દોડે છે, તે રૂટની બસ ગઇકાલે સાંજે જામનગરથી - રાજકોટ આવી રહી ત્યારે આ બસના કંડકટર શ્રી જયેશ ગોધાણીને બસ ખાલી થઇ ત્યારે ચેકીંગ સમયે એક બારીની ખીટી ઉપર ટીંગાતી થેલી મળી હતી અને તેમાં જોયું તો ૧ાા લાખ રોકડા હતા.
કંડકટર વિચારમાં પડી ગયા, તેઓ અને ડ્રાઇવર સીધા ઇન્ચાર્જ ડેપો મેનેજર શ્રી સહદેવસિંહ ગોહિલ પાસે દોડી ગયા હતા અને રકમ મળી હોય, જમા કરાવી હતી, આ દરમિયાન આ થેલી જે વૃધ્ધ ભૂલી ગયા હતા, તે પણ દોડી આવ્યા હતા અને ડેપો મેનેજરને જાણ કરી હતી. બાદમાં ખાત્રી કરી વૃધ્ધના દિકરા સાથે ફોનમાં વાત કરી ૧ાા લાખની રોકડ પરત કરાઇ હતી. રોકડ રકમ મળી જતા વૃધ્ધ અને તેના પરિવારની આંખમાં ખુશીના આંશુ વહી ગયા હતા. કંડકટરની પ્રમાણીકતા નિહાળી દંગ રહી ગયા હતા. આભાર વ્યકત કરાયો હતો.