વડીયામાં પતિના હાથે પત્નિની હત્યાઃ મૃતદેહ સળગાવતા પોતે પણ દાઝયો
અમરેલી જિલ્લામાં અરેરાટીઃ પુત્ર સાથે રહેતી પત્નિ પાસે ઘઉં લેવા જતા મામલો બીચકયોઃ ઉશ્કેરાઈ જઈને હથીયારનો ઘા ઝીંકી દીધો
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૨૮ :. અમરેલી જિલ્લાના વડીયામાં પતિના હાથે પત્નિની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડીયામાં કાલે રાત્રીના પતિથી અલગ પોતાના દિકરા બાવુભાઈ સાથે રહેતા સાકરબેન બીજલભાઈ વાઘેલા પાસે તેના પતિ બીજલભાઈ ઘઉં લેવા માટે ગત રાત્રીના ગયા હતા.
ત્યારે પતિ-પત્નિ અને પુત્ર વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો અને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. આ દરમિયાન પતિ બીજલ વાઘેલા ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નિ સાકરબેનના કાન ઉપર લોખંડના કોસનો એક ઘા ઝીંકી દેતા તેનુ ઘટના સ્થળે જ મોત થયુ હતું. ત્યાર બાદ પતિ બીજલે તેના પત્નિનો મૃતદેહ પેટ્રોલ છાંટીને સળગાવ્યો હતો. આ દરમિયાન તે દાઝી જતા તેને પણ સારવાર માટે હોસ્પીટલમા ખસેડાયેલ છે.
આ બનાવ અંગે મૃતક માતા સાકરબેનના પુત્ર બાવુભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરતા વડીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને સ્ટાફે તપાસ હાથ ધરી છે.