ભાજપનો ખરીદ વેચાણ સંઘ ધારાસભ્યોને ખરીદવા નીકળે છે, પણ કનુભાઇને ખરીદી ન શકયા : શકિતસિંહ ગોહિલ
તળાજામાં આકરા પ્રહાર કરતા કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ
ભાવનગર તા. ૨૮ : તળાજામાં કોંગ્રેસની મોટી સભા યોજાઈ હતી. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ પણ મેદાને ઉતર્યા હતા. દરમિયાન તેમણે ભાજપ દ્વારા રાજયસભાની ચૂંટણી વખતે અન્ય પક્ષના ધારાસભ્યોનું ખરીદ-વેચાણ થાય છે તેવો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાજય સભાની ચૂંટણી વખતે ભાજપનો ખરીદ વેચાણ સંઘ આવે અને ધારાસભ્યોના ભાવ નક્કી થાય છે. ૨૫ કરોડ સુધી ભાવ જાય છે પણ તોય નથી વેચાયો તેવો તમારો ઉમેદવાર છે કનુભાઈ.
તળાજામાં કોંગ્રેસની જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે જયારે રાજયસભાની ચૂંટણી આવે ત્યારે ખરીદ વેચાણ સંઘ ભાજપનો નીકળી પડે છે. ખરીદ વેચાણ સંઘ ધારાસભ્યનો ભાવ બોલે છે. ૫ કરોડ, ૭ કરોડ, ૧૦ કરોડ અને જયારે ચૂંટણી નજીક આવી જાય ત્યારે ભાવ પહોંચે ૨૫ કરોડ રૂપિયા. તો પણ તળાજાના વર્તમાન ધારાસભ્ય કનુભાઈને ખરીદી શક્યા નથી. તેવું તેમણે કહ્યું હતું.