સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th July 2021

ધ્રોલ પંથકમાં હત્યા અંગે બનેવી સામે સાળાએ નોંધાવેલી ફરીયાદ

આરોપી પતિ કેરૂભાઈ ડાવર (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૨૯ :. ધ્રોલ પંથકમાં પતિના હાથે પત્નિની હત્યા થઈ છે. ગળેટુંપો દઈ હત્યા નિપજાવાઈ હોવાની મૃતકના ભાઈએ બનેવી સામે ફરીયાદ કરી છે.

ધ્રોલથી ૩૦ કિ.મી. દૂર આવેલ વિસામણ ગામમાં મનસુખભાઈ ભંડેરીની વાડીમાં ગઈકાલે કેરૂભાઈ ભંગડાભાઈ ડાવર આદિવાસી-ભીલ રહે. હાલ ડાંગરા ગામની વાડી, મૂળ ઉબ્લાદ ગામ, જી. અલીરાજપુર એ પોતાની પત્નિ જમકુબેન (ઉ.વ. ૨૪)ને કોઈપણ કારણોસર દોરી વડે ગળેટુંપો આપી હત્યા નિપજાવ્યાની ફરીયાદ મૃતકના ભાઈ રાજુભાઈ વેસ્તાભાઈ ભીંડેએ પોલીસમાં નોંધાવી છે.

આ અંગે પોલીસે વિધિવત ફરીયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ધ્રોલ પો. સ્ટે.ના સબ ઈન્સ. એમ.એન. જાડેજા ચલાવી રહ્યા છે.

ધ્રોલના ડાંગરા ગામની સીમમાં પ્રેમલગ્ન કરી ખેતીકામ કરતા આદિવાસી દંપતિ વસવાટ કરતુ હતુ. જેમા પત્ની જમકુબેનના ચારિત્ર્ય પર શંકા કરી મોતને ઘાટ ઉતારનાર આરોપી પતિ કેરૂભાઈ ભંગડાભાઈ ડાવર એ જ એની પત્નીએ આત્મહત્યા કર્યાની ખોટી સ્ટોરી ઉભી કરી હતી અને પીએમ બાદ અંતે ભાંડો ફૂટયો છે.

મૃતકનો ભાઈ રાજુભાઈ ભીલ (ઉ.વ. ૪૦) હાલ મનસુખભાઈ ભીખાભાઈ અકબરીની વાડીમાં હરીપર (તા. લાલપુર, જી.જામનગર) ખાતે કામ કરે છે.

(1:11 pm IST)