શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં વરસતા વરસાદમાં ગુરુકુલ દ્રોણેશ્વરમાં મચ્છુન્દ્રી નદીના જળને કુંભમાં લાવી જળઝીલણી ઉત્સવ ઉજવતા સંતો
ઉના તા. ૨૯ સતિ, શુરા, સિંહ અને સંતોના નિવાસથી અનેરી ભાત પાડનારો પ્રદેશ એટલે બાબરિયા વાડ – નાઘેર પ્રદેશ. આ પ્રદેશમાં આજથી ૫૦૦૦ વર્ષ પૂર્વ પાંડવ ગૂરુ દ્રોણાચાર્ય મહારાજએ દ્રોણેશ્વર મહાદેવજી સ્થાપના કરી છે, આજે પણ મહાદેવજીના મસ્તક ઉપર અવિરત જળધારા વહી રહી છે.
આ ઉત્સવમાં નાઘેર પંથકના અનેક ગામડાઓમાંથી ભાવિકો ઉમટતા હોય છે, પરંતુ આ વરસે કોરોના મહામારીને કારણે જળઝીલણી મહોત્સવ સાદાઈથી ફક્ત ગુરુકુલ પરિસરમાં રહેતા સંતોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો.
ચાલુ વરસાદે મચ્છુન્દ્રી નદીના જળને સંતો દ્વારા કુંભમાં ભરી ગુરુકુલ પરિસરમાં લાવી, હોજમાં ઠાકોરજીને પધરાવી વરસતા વરસાદમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતીમાં, ઠાકોરજીને ચાર આરતી – પૂજન કરી રાસની રમઝટ બોલાવી હતી.