માળીયા મિંયાણામાં માતા-પુત્રને મોતને ઘાટ ઉતારી દેનાર શાહરૂખ મોવર પોલીસના સકંજામાં
ભેંસો ચરાવવા બાબતે તકરાર થતા શાહરૂખ તિક્ષ્ણ હથિયાર સાથે જરીનાબેન અને તેના માતા-પુત્ર ઉપર તૂટી પડી ઢીમઢાળી દીધુ'તુ
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧ : માળીયા મિંયાણામાં ભેંસો ચરાવવા બાબતે થયેલ તકરારમાં માતા-પુત્રને મોતને ઘાટ ઉતારી દેનાર શખ્સને પોલીસે દબોચી લીધો છે.
મળતી માહિતી મુજબ માળિયાના કોબા વાંઢ વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો જેમાં જરીનાબેન ઈશાભાઈ મોવર અને તેના પુત્ર હબીબ ઈશાભાઈ મોવરને ભેંસો ચરાવવા બાબતે માથાકૂટ થઇ હતી અને બાદમાં માતા પુત્રની હત્યા કરી દેવામાં આવી હતી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા માતાનું ઘટનાસ્થળે જ જયારે પુત્રનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બનાવને પગલે માળિયા પીએસઆઈ બી ડી જાડેજા સહિતની ટીમ દોડી ગઈ હતીકૌટુંબિક સગાઓ સાથે ભેંસ ચરાવવા બાબતે માથાકૂટ થઇ હતી જે માથાકૂટ ઉગ્ર બનતા માતા અને પુત્રની હત્યા કરવામાં આવી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આરોપી શાહરૂખ મોવર તેના ખેતરમાં ટ્રેકટર ચલાવતો હતો ત્યારે તેના ખેતરમાં ભેંસો ઘુસી જતા શાહરૂખે ઉશ્કેરાઇ જઇ તિક્ષ્ણ હથિયાર સાથે જરીનાબેન અને તેના પુત્ર હબીબ ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
દરમિયાન માતા-પુત્રની હત્યા કરનાર શાહરૂખ મોવરને માળીયા મિંયાણાના પી.એસ.આઇ. બી.ડી. જાડેજા તથા ટીમે દબોચી લઇ વધુ પુછતાછ હાથ ધરી છે.