સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 31st January 2023

દિલેર સખી દાતા દામજીભાઈ એન્‍કરવાલાની ચિર વિદાયથી કચ્‍છી પ્રજાએ પોતાના હમદર્દ ખોયા છે

દામજીભાઈ અને તારાચંદભાઈ છેડાની જોડી દરેક સેવાકીય કાર્યોમાં મકકમ હતીઃ સર્વ સેવા સંઘ અને કવીઓ જૈન મહાજન દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧: સૌરાષ્‍ટ્ર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી, જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર શ્રેષ્ઠી દામજીભાઈ એન્‍કરવાલાના દુઃખદ નિધનના સમાચારથી સમગ્ર કચ્‍છમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. કચ્‍છની જાણીતી સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓ કવીઓ જૈન મહાજન અને સર્વ સેવા સંઘના પ્રમુખ જીગર તારચંદભાઈ છેડાએ ઉંડા શોકની લાગણી વ્‍યકત કરતાં જણાવ્‍યું હતું કે, દિલેર સખી દાતા દામજીભાઈની ચિર વિદાયથી કચ્‍છી પ્રજાએ પોતાનાં હમદર્દ ખોયા છે. માતળભૂમિ કચ્‍છથી દૂર મુંબઈમાં રહેતા હોવા છતાંય એમના ખોળીયામાં સદાય કચ્‍છ વસતું હતું. અનશનવ્રતધારી તારાચંદભાઈ છેડા સાથે મળીને દામજીભાઈએ જીવદયા, આરોગ્‍ય, શિક્ષણ અને માનવસેવા માટે સદાય સેવાની જયોત પ્રજવલિત રાખી હતી.૧૯૮૭નાં કપરા દુષ્‍કાળમાં સતત ત્રણ વર્ષ સુધી કચ્‍છનાં હજારો પશુઓને બચાવવાના અભિયાનમાં દામજીભાઈએ અન્‍ય દાનવીર શ્રેષ્ઠીઓ સાથે સંકલન સાધી તારાચંદભાઈના માર્ગદર્શન હેઠળ નીરણ કેન્‍દ્રો ચલાવવામાં મુખ્‍ય ભૂમિકા ભજવી હતી. ત્‍યારબાદ પણ જયારે જયારે કચ્‍છમાં વરસાદ ખેંચાય ત્‍યારે તેઓએ જીવદયા માટે દાનની સરવાણી વહેવડાવી છે. જયારે કોરોના કાળમાં કોરોનાની નિઃશુલ્‍ક સારવાર સાથે મસ્‍કા હોસ્‍પિટલે માનવસેવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું. કોરોના સમયે અંદાજીત એક લાખ માસ્‍ક વિતરણ, ૧૨ હજારથી વધુ દર્દીઓની વિનામૂલ્‍યે સારવાર અને ૧૦ હજાર જેટલી ઓકિસજનની બોટલ સેવા પુરી પાડવામાં તેઆ સતત મદદરૂપ બન્‍યાં હતા. આ ઉપરાંત અનેકવિધ શૈક્ષણીક કાર્યો, જળ સંગ્રહના કાર્યો માટે તેમનું ઉદાર યોગદાન રહ્યું હતું. દામજીભાઈના દુઃખદ નિધનથી કચ્‍છ જગડુશા જેવા દિલેર દાતા ગુમાવ્‍યા છે. સર્વ સેવા સંઘ અને કવીઓ જૈન મહાજન બન્ને સંસ્‍થાઓએ પોતાનું પ્રેરકબળ ગુમાવ્‍યું છે.

(11:50 am IST)