સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 31st May 2021

મોરબી સિવિલ હોસ્પીટલમાં આખરે ૫૦૦ ઇન્જેક્શન ફાળવવામાં આવતા રાહત

હડકાયા કુતરાના ૫૦૦ ઇન્જેક્શન ફાળવાયા મોરબીના સામાજીક કાર્યકરોની રજુઆત રંગ લાવી :

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ જી. બાંભણીયા દ્વારા હાલમાં કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી કે મોરબી, માળિયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકામાં અનેક જગ્યાએ હડકાયા કુતરાઓ માણસો તથા નાના છોકરા તથા ઢોરને બચકાં ભરી જાય તેવી ઘટનાઓ બને છે ત્યારે મોરબીની સીવીલ હોસ્પીટલમાં જ છેલ્લા દોઢથી બે મહિનાથી હડકાયા કુતરાના ઇન્જેકશન ઉપલબ્ધ નથી જેથી લોકોને રાજકોટ જવાની ફરજ પડે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઇન્જેકશના ૧૫૦૦થી ૨૦૦૦ રૂપીયા લેવામાં આવે છે જે તમામને પરવડે તેમ નથી
જેથી કલેકટર દ્વારા આર.એમ.ઓ.ને ભલામણ કરીને તાત્કાલિક સીવીલ હોસ્પીટલમાં હડકાયા કુતરા કરડ્યા હોય તે વ્યક્તિને આપવાના થતાં ઇન્જેકશનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઉપરોક્ત માંગને ધ્યાને લઈ મોરબી નિવાસી અધિક કલેકટર કેતનભાઈ જોષી એ તા:- 18/5/21 ના રોજ પત્રનં.: જનરલ/ફા.નં./12980488 થી આરએમઓ ને તાત્કાલિક ઈન્જેક્શન નો જથ્થો મંગાવવા ભલામણ કરવામાં આવતા મોરબી સિવીલ હોસ્પિટલના ઈન્ચાર્જ અધિક્ષક ડો. કે. આર. સરડવાએ ખાસ ઓર્ડર થી 500 જેટલા ઈન્જેક્શન ની વ્યવસ્થા કરવામાં આવતા સામાજીક કાર્યકરોએ અધિક નિવાસી કલેકટર કેતનભાઈ જોષી, અને હોસ્પિટલ ના ઈન્ચાર્જ અધિક્ષક ડો સરડવાનો આભાર વ્યક્ત કર્યો હતો.

(8:14 pm IST)