Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

ચેન્‍નાઈ સુપર કિંગ્‍સના 13 સભ્‍યો કોરોના ગ્રસ્‍ત થતા કેપ્‍ટનકુલ મહેન્‍દ્રસિંહ ધોનીએ ટીમ સંભાળવા બનાવ્‍યો અલગ પ્‍લાન

દુબઈઃ આઈપીએલ-2020 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ગ્રુપમાં બધુ ઠીક નથી. આઈપીએલ માટે દુબઈમાં રોકાયેલી ચેન્નઈની ટીમના 13 સભ્યો કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. તપાસમાં જે બે ખેલાડી સંક્રમિત થયા છે, તેમાં ભારતીય ટીમના ટી20 નિષ્ણાંત બોલર સિવાય ભારત-એ ટીમના ટોપ ક્રમનો એક બેટ્સમેન સામેલ છે. પરંતુ બીજીતરફ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલ ટીમને સંભાળવાનો પોતાનો અલગ પ્લાન તૈયાર કર્યો છે. તેમણે સીએસકેના માલિક એન. શ્રીનિવાસનને વિશ્વાસ અપાવ્યો કે ચિંતાનું કોઈ કારણ નથી.

શ્રીનિવાસને ખુલાસો કર્યો કે ધોનીના શાંત રહેવાથી ચેન્નઈ સુપર કિંગ્સના ગ્રુપમાં વિશ્વાસ ઉભો થયો છે કે 19 સપ્ટેમ્બરથી આઈપીએલ-2020ના શરૂ થતા પહેલા બધુ ખતમ થઈ જશે. એન શ્રીનિવાસને એક મેગેઝિનને જણાવ્યું કે, મેં એમએસ (ધોની) સાથે વાત કરી હતી, તે કોઈ વસ્તુથી હેરાન નથી. તેણે મને આશ્વાસન આપ્યું કે, જો સંખ્યા વધી છે તો ચિંતાની વાત નથી. તેણે ઝૂમ કોલથી ખેલાડીઓ સાથે વાત કરી અને તેને સુરક્ષિત રહેવાનું કહ્યું.

શ્રીનિએ કહ્યું, મને એક મજબૂત કેપ્ટન મળ્યો છે. ધોની ચિંતિત નથી, તેનાથી ટીમમાં બધાનો આત્મવિશ્વાસ વધ્યો છે. ધોનીની આગેવાનીમાં ચેન્નઈની ટીમ આ વર્ષે ચોથા આઈપીએલ ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે. પાછલા વર્ષે તે એક રનથી ચુકી ગઈ હતી. ફાઇનલમાં મુંબઈ સામે સીએસકેનો પરાજય થયો હતો.

29 ઓગસ્ટે રૈના ભારત પરત આવી ગયો. તે આઈપીએલમાં રમશે નહીં. રૈના બહાર થવા પર શ્રીનિવાસને કહ્યુ, ક્રિકેટર જૂના જમાનાના સ્વભાવ વાળા અભિનેતાની જેમ હોય છે. સીએસકે હંમેશા એક પરિવારની જેમ રહ્યો છે અને બધા સીનિયર ખેલાડીઓએ સાથે રહેવાનું શીખ્યું છે. મારો વિચાર છે કે જો તમારી ઈચ્છા નથી કે ખુશ નથી તો પરત જાવ. હું ક્યારેય કંઇ કરવા માટે મજબૂર કરતો નથી. ક્યારેક ક્યારેક સફળતાનો નશો મગજમાં ચઢી જાય છે.

બાદમાં શ્રીનિવાદને આ વાત પર ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, રૈના માટે તેમણે આવો શબ્દપ્રયોગ ક્યારેય કર્યો નથી. એક અખબાર સાથે વાતચીતમાં તેમણે કહ્યું, રૈના વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી. ચેન્નઈની સફળતામાં તેનું યોગદાન અનમોલ છે.

(5:22 pm IST)