Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મયંક અગ્રવાલ ઘાયલ થતા રોહિત શર્મા સાથે કોણ કરશે ઓપનીંગ ?:અભિમન્યુ ઈશ્વરન કે લોકેશ રાહુલ?

બંગાળના ઓપનર અભિમન્યુ ઈશ્વરને સ્ટેન્ડબાય ખેલાડી તરીકે પસંદગી : શુભમન ગિલની ઈજાને કારણે હવે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી શકે

ટીમ ઈન્ડિયાની નજર ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણી (IND VS ENG) પર છે. ટીમ ઈન્ડિયા પાસે ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે. ભારત 14 વર્ષથી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી શક્યું નથી, આવી સ્થિતિમાં વિરાટ સેનાની નજર 4 ઓગસ્ટથી શરૂ થનારી આ શ્રેણી પર સ્થિર છે.

તે પહેલા ટીમ ઈન્ડિયાની સમસ્યાઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. શુભમન ગિલ, અવેશ ખાન અને વોશિંગ્ટન સુંદર પછી, મયંક અગ્રવાલ ઈજાને કારણે હવે પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. મયંકની ઈજા બાદ ઈંગ્લેન્ડ સામે કોણ ઓપનિંગ કરશે તેના પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, લોકેશ રાહુલ અથવા અભિમન્યુ ઈશ્વરનને મુખ્ય ટીમમાં સમાવી શકાય છે, જે હાલમાં 'સ્ટેન્ડ બાય' છે.

બંગાળના ઓપનર અભિમન્યુ ઈશ્વરને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જોકે, શુભમન ગિલની ઈજાને કારણે હવે આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી શકે છે.

25 વર્ષીય યુવાન ખેલાડી અભિમન્યુ ઇશ્વરનની પ્રેરણા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ છે. એટલું જ નહીં, જ્યારે તે ઇન્ડિયા A તરફથી રમ્યો ત્યારે રાહુલ તેના કોચ હતા. જણાવી દઈએ કે ઈશ્વરનને આઈપીએલ 2021 માં કોઈ પણ ટીમે ખરીદ્યો ન હતો.

(12:12 am IST)