Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કોરોનાના કહેર વચ્ચે IPLનો આવતીકાલથી પ્રારંભ

તમામ મેચો પ્રેક્ષકો વગર જ રમાશે : છ શહેરોમાં લીગ મેચો, ફાઈનલ ૩૦મી મે ના અમદાવાદમાં રમાશે

મુંબઈઃ કોરોનાનો કહેર પણ આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના આયોજનને રોકી શકવાનો નથી. ભારતમાં કોરોનાના મોરચે વણસતી જતી પરિસ્થિતિ વચ્ચે બાયોબબલના ચુસ્ત નિયમોના સથવારે આયોજકોને આઇપીએલનું સફળતાપૂર્વક આયોજન કરવાનો વિશ્વાસ છે.

ગયા વર્ષે કોરોનાના લીધે આ ટુર્નામેન્ટના આયોજનમાં વિલંબ થયો હતો અને તે યુએઇમાં શિફ્ટ કરવામાં આવી હતી. પણ હવે આઇપીએલની ૧૪મી સીઝન ભારતમાં યોજાવવાની છે. દુબઈના સફળ આયોજનના પગલે ભારતમાં કોરોનાના મોરચે સ્થિતિ ઉત્તરોતર વણસી રહી હોવા છતાં પણ આયોજકો તેના આયોજનને લઈને આશ્વસ્ત છે.

કોરોનાના નવા કેસોમાં ઉછાળો આવ્યો હોવા છતાં પણ આઇપીએલનું આયોજન જરા પણ ખોરવાઈ જવાનો ડર નથી. આ વખતે આઇપીએલ છ સ્થળોએ યોજાવવાની છે. તેનો પ્રારંભ ચેન્નાઈથી થવાનો છે અને અંત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદમા ૩૦મીએ ફાઇનલ સાથે આવવાનો છે.

બીસીસીઈઆઇના પ્રમુખ સૌરવ ગાંગુલીએ વિશ્વાસ વ્યકત કર્યો હતો કે અમે ગયા વર્ષે દુબઈમાં સફળતાપૂર્વક આયોજન કર્યુ હતુ, હવે ભારતમાં પણ સફળ આયોજન કરવાનો વિશ્વાસ છે.

ગયા વખતની ચેમ્પિયન રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઇન્ડિયન્સ અને કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે આવતીકાલ શુક્રવારની મેચથી ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. આઇપીએલમાં આ વખતે આઠ ટીમ હશે. આગામી સમયમાં તેની ૧૦ ટીમ હશે.

ભારતમાં રોકાનારા ખેલાડીઓને તેનું વળતર આપવામાં આવશે. ગયા વર્ષે એકપણ ટિકિટના વેચાણ વગર પણ આઇપીએલનું મૂલ્ય ૬.૧૯ અબજ ડોલર હતું, એમ ફાઇનાન્સિયલ કન્સલ્ટન્સી ફર્મ ડફ એન્ડ ફેલ્પ્સે જણાવ્યું હતું. આમ તેના મૂલ્યમાં ૨૦૧૯ના ૬.૭૮ અબજ ડોલરની તુલનાએ ઘટાડો નોંધાયો હતો.

બીસીસીઆઇએ જો ગયા વર્ષે આ ચેમ્પિયનશિપ રદ કરી હોત તો તેની આવકમાં ૫૪.૨ કરોડનું ગાબડું પડયું હોત, પરંતુ સ્ટેડિયમના પ્રેક્ષકોની ગેરહાજરીમાં તેને વિક્રમજનક ટીવી અને ડિજિટલ વ્યુઅરશિપ મળી હતી. હાલમાં ભારતમાં કેટલાય રાજ્યોમાં કર્ફ્યુ હોવાથી આઇપીએલની વ્યુઅરશિપ ગયા વર્ષના આંકડાને પણ વટાવી જાય તેવી સંભાવના છે.

(3:39 pm IST)