Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

આઇપીએલ પૂર્ણ થતા દુબઇથી ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્‍ટ્રેલીયા પહોંચીઃ કોરોનાના કારણે 14 દિવસ ખેલાડીઓને કોરોન્‍ટાઇન રહેવુ પડશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સમાપ્ત થયાના એક દિવસ બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે રવાના થયેલી ભારતીય ક્રિકેટ ટીમ સિડની પહોંચી ચુકી છે. કેપ્ટન કોહલી સહિત ટીમ બુધવારે દુબઈથી ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ હતી. 27 નવેમ્બરથી ટીમ ઈન્ડિયાના આ પ્રવાસની શરૂઆત થશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવી પીપીટી કિટ અને માસ્કની સાથે ભારતીય ટીમના ખેલાડીઓનો ફોટો શેર કર્યો હતો. આ તસવીર દુબઈથી સિડની  માટે રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાના બધા ખેલાડીઓએ એક સાથે ખેંચાવી હતી. ઓસ્ટ્રેલિયા પહોંચવાની સાથે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે. બીસીસીઆઈએ તેને ઘટાડવાની વિનંતી કરી હતી પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેનો સ્વીકાર કર્યો નથી.

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભાગ લેવા પહોંચેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પણ પોતાના દેશ પહોંચી રહ્યા છે. આ પ્રવાસ પર ભારતીય ટીમ ત્રણ મેચોની વનડે, ત્રણ  મેચોની ટી20 સિરીઝ રમશે. વનડે સિરીઝ સિડનીમાં 27, 29 નવેમ્બર અને 2 ડિસેમ્બરે રમાશે. જ્યારે ટી20 સિરીઝના મુકાબલા 4, 6 અને 8 ડિસેમ્બરે થશે.

ત્યારબાદ ટીમ ઈન્ડિયા 4 ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. પ્રથમ મુકાબલો 17થી 21 ડિસેમ્બર સુધી રમાશે જે ડે-નાઇટ હશે. આ પ્રથમ તક છે જ્યારે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં કોઈ ડે નાઇટ ટેસ્ટ રમશે. 26 ડિસેમ્બરથી બીજી અને 7 તથા 15 જાન્યુઆરીથી ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ રમાશે.

(4:53 pm IST)