Gujarati News

Gujarati News

News of Sunday, 19th September 2021

પાકનો પ્રવાસ રદ કર્યાં બાદ ન્યૂઝીલેન્ડની ટીમ દુબઈ પહોંચી

ધમકી મળ્યા બાદ પ્રવાસ રદનો નિર્ણય લીધો : CEO : પ્રવાસ રદ કરવાના નિર્ણય પર અફસોસ નથી : વાઈટ

દુબઈ, તા.૧૯ : ન્યૂઝીલેન્ડની ટીમે અંતિમ ક્ષણોમાં પાકિસ્તાનનો પ્રવાસ રદ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. જો કે, હવે ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાનમાંથી નીકળીને દુબઈ પહોંચી ગઈ છે અને દુબઈ પહોંચ્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ વાઈટે જણાવ્યું કે, ન્યૂઝીલેન્ડને પાકિસ્તાનનો પ્રવાસ રદ કરવાના નિર્ણય પર અફસોસ નથી, પણ 'વિશિષ્ટ અને વિશ્વસનીય' ધમકી મળ્યા બાદ ટીમને તે દેશમાં રાખી શકાતી ન હતી.

ગત શુક્રવારે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ શરૂ થાય તેની થોડી મિનિટો પહેલાં જ ન્યૂઝીલેન્ડની ટીમે પાકિસ્તાન પ્રવાસ રદ કરવાનો ચોંકાવનારો નિર્ણય કર્યો હતો. શનિવારની રાત્રે ન્યૂઝીલેન્ડના ૩૪ સભ્યોનું ગ્રૃપ સ્પેશિયલ પ્લેનથી ઈસ્લામાબાદથી દુબઈ પહોંચ્યું હતું. અહીં આ ગ્રૃપ ૨૪ કલાક માટે આઈસોલેશનમાં રહેશે અને તે બાદ ૨૪ સભ્યો આગામી અઠવાડિયા સુધી ન્યૂઝીલેન્ડ પરત ફરશે. તો બાકીનાં સભ્યો ૧૭ ઓક્ટોબરથી શરૂ થનાર આઈપીએલ રમવા માટે યુએઈમાં જ રહેશે. ન્યૂઝીલેન્ડની ટીમના CEO ડેવિડ વાઈટે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે ખુબ જ મુશ્કેલીભર્યો સમય રહ્યો છે, તેમજ તેમના મુખ્ય કાર્યકારી વસીમ ખાન અને તેમની ટીમે પ્રોફેશનલ વલણ અપનાવવા અને ખેલાડીઓની દેખરેખ રાખવા માટે આભાર વ્યક્ત કરવા માગીએ છીએ. આ ઉપરાંત વાઈટે પ્રવાસ રદ કરવા મામલે કહ્યું કે, હું ફક્ત એટલું જ કહી શકું છું કે અમને સલાહ આપવામાં આવી હતી કે, આ ટીમની સામે વિશિષ્ટ અને વિશ્વસનીય ધમકી હતી. આ ઉપરાંત વાઈટે કહ્યું કે, નિર્ણય પર પહોંચ્યા પહેલાં અમારી ન્યૂઝીલેન્ડ સરકાર તેમજ અધિકારીઓ સાથે અનેક તબક્કાની વાતચીત થઈ હતી તેમજ પીસીબીને જાણ કર્યાં બાદ અમે સમજીએ છીએ કે બંને દેશના વડાપ્રધાનો વચ્ચે ટેલિફોન ઉપર વાતચીત થઈ હતી. દુર્ભાગ્યથી અમને જે સલાહ આપવામાં આવી હતી, તેને જોતાં અમે તે દેશમાં રોકાઈ શકતા ન હતા. તો રેડિયો ન્યૂઝીલેન્ડ અનુસાર વાઈટે કહ્યું કે, અમને પ્રવાસ રદ કરવાના નિર્ણય પર અફસોસ નથી, પણ જોખમ વધ્યા બાદ શુક્રવારે બધું બદલાઈ ગયું.

(9:02 pm IST)