Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

પાંચમા દિવસે કોહલી-પૂજારાની વહેલી વિકેટ હારનું કારણઃ સચિન તેંડુલકર

ચેમ્પિયનશીપમાં ભારતની હારથી પૂર્વ ક્રિકેટર્સ નારાજ : ન્યૂઝીલેન્ડની ટીમની પ્રસંશા કરતા દિગ્ગજ ક્રિકેટર્સ, કીવી બોલર્સે શાનદાર બોલિંગ કરી ટીમને વિજયની ભેટ ધરી

નવી દિલ્હી, તા. ૨૪ : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિશનશિપની ફાઈનલમાં ભારતના કારમા પરાજય બાદ ક્રિકેટ ચાહકો નિરાશ છે અને પૂર્વ ક્રિકેટરો પણ ટીમના પ્રદર્શનથી નારાજ છે.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ભારતની હારનુ કારણ આપતા કહ્યુ છે કે, પાંચમા દિવસની રમતની શરૂઆતની દસ મિનિટમાં ભારતે પહેલા કોહલી અને પછી પૂજારાની વિકેટ ગુમાવી હતી અને ભારતની હારનુ કારણ હતુ. તેંડુલકરે ન્યૂઝીલેન્ડને વિશ્વ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન આપતા કહ્યુ તુ કે, ન્યૂઝીલેન્ડ વધારે સારી ટીમ હતી અને ટીમ ઈન્ડિયા પોતાના દેખાવથી ચોક્કસ નિરાશ હશે.

સચિને આગળ કહ્યુ હતુ કે, પહેલી ૧૦ ઓવર મહત્વપૂર્ણ રહેશે તેવુ હું પહેલા પણ કહી ચુકયો હતો અને એવુ થયુ હતુ. પહેલી દસ ઓવરમાં માત્ર ૧૦ બોલમાં કોહલી અને પૂજારા આઉટ થયા હતા અને તેનાથી બીજા બેટસમેનો પર ભારે દબાણ સર્જાયુ હતુ.

કોહલી અને પૂજારા ન્યૂઝીલેન્ડના લાંબા કદના ઓલરાઉન્ડર કાયલે જેમીસનના હાથે આઉટ થયા હતા. જેમીસને મેચના રિઝર્વ ડેના દિવસે પણ પીચ પરથી બોલને મૂવ કરાવ્યો હતો અને ભારતીય બેટસમેનોને પરેહાશન કર્યા હતા.

બીજી તરફ પૂર્વ દિગ્ગજ બેટસમેન લક્ષ્મણે પણ કહ્યુ હતુ કે, ન્યૂઝીલેન્ડની ટીમ જીતની હકદાર છે. ન્યૂઝીલેન્ડના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી અને બીજી ઈનિંગમાં વિલિયમસન અને ટેલરે પોતાનો અનુભવ કામે લગાડીને બેટિંગ કરી ટાર્ગેટ હાંસલ કર્યુ હતુ.

(7:44 pm IST)