Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ભારતનો સૌથી શિક્ષિત ક્રિકેટર અવિશ્કર સાલ્વીઃ નાસામાં પણ રમતા રમતા મળી શકે છે નોકરી !

નવી દિલ્હી,તા.૨૯: સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી અને વીરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીઓએ તેમની શાનદાર રમતને કારણે ક્રિકેટની રમતમાં દુનિયાભરમાં નામના મેળવી છે. ત્યારે ક્રિકેટની રમતની વાત કરીએ તો, આજ સુધી, એવા ઘણા ખેલાડીઓએ ભારત માટે પદાર્પણ કર્યું છે, જેઓ તેમની રમત કરતાં વધુ અન્ય બાબતોને લઈને ચર્ચામાં રહ્યા છે. આજે તમને ભારતના એ ખેલાડી વિશે જણાવશું જે સૌથી વધુ શિક્ષિત છે.

વાત કરી રહ્યા છીએ અવિશ્કર સાલ્વીની, જેમણે બાંગ્લાદેશ સામે ડેબ્યૂ કર્યું હતું. અવિશકર સાલ્વી સૌથી શિક્ષિત ક્રિકેટર હોવાનું કહેવાય છે. મુંબઈથી ફર્સ્ટ કલાસ ક્રિકેટ રમનાર સાલ્વીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વધુ ટકી શકી નહીં. તે ભારત માટે માત્ર ૪ વનડે રમી શકયો હતો. ઈજાને કારણે તેની કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ. જોકે, તે ફાસ્ટ બોલર તરીકે આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સનો પણ ભાગ બન્યો હતો.

મુંબઈમાં જન્મેલા સાલ્વીએ સ્ટ્રોફિઝિકસમાં પીએચડી કર્યું છે. ક્રિકેટની દુનિયામાં તેમની ડિગ્રી હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઉચ્ચ શિક્ષણ એટલે કે એસ્ટ્રોફિઝિકસમાં સંશોધન કરનારાઓને ઈસરોથી નાસા સુધી કામ કરવાની તક મળે છે. આ સિવાય સ્ટ્રોફિઝિકસ દ્વારા BARC અને NCRA જેવી સંસ્થાઓમાં નોકરીની તકો ઉપલબ્ધ છે. એકંદરે, જો કોઈ વ્યકિતને બ્રહ્માંડના વિષયમાં રસ હોય, તો વ્યકિત તેનો અભ્યાસ કરી શકે છે.

અવિશ્કર સાલ્વી સિવાય ભારતના અન્ય દ્યણા ખેલાડીઓ છે જેઓ સારી રીતે શિક્ષિત છે. ટીમ ઇન્ડિયાના અનુભવી સ્પિન બોલર અનિલ કુંબલેએ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. આ સિવાય પૂર્વ ઝડપી બોલર જવાગલ શ્રીનાથે પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જયારે અનુભવી બેટ્સમેન રાહુલ દ્રવિડે સેન્ટ જોસેફ કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે.

(11:45 am IST)