‘મન કી બાત'માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટીમ ઇન્ડિયાના વિજયને વધાવતા વિરાટ કોહલીએ તિરંગો પોસ્ટ કર્યો
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે આ મહિને ઓસ્ટ્રેલિયામાં તેની જમીન પર ટેસ્ટ સિરીઝમાં માત આપીને ઈતિહાસ રચી દીધો હતો. આ જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી જાહેર કરી. તેમણે રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાત કાર્યક્રમમાં તેનો ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યુ, 'આ મહિને, ક્રિકેટ પિચથી ખુબ સારા સમાચાર મળ્યા. આપણી ક્રિકેટ ટીમે શરૂઆતી મુશ્કેલી બાદ શાનદાર વાપસી કરતા ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતી. અમારા ખેલાડીઓની આકરી મહેનત અને ટીમ વર્ક પ્રેરિત કરનારુ છે.'
તેના પર ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ રિપ્લાઈ આપ્યો. તેમણે પીએમઓના ટ્વીટને રીટ્વીટ કરતા તેના પર તિરંગો પોસ્ટ કર્યો.
ભારત અને યજમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ મહેમાન ટીમે 2-1થી જીતી હતી. સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતના ઘણા સ્ટાર ખેલાડીઓ ઈજાગ્રસ્ત હતા, તેમ છતાં 3 વિકેટથી મેચ જીતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જાળવી રાખી હતી.
અંજિક્ય રહાણેએ સિરીઝની ત્રણ ટેસ્ટ મેચોમાં ટીમની કમાન સંભાળી અને બે મેચમાં જીત મેળવી હતી. વિરાટ કોહલી પેટરનિટી લીવ પર શરૂઆતી ટેસ્ટ મેચ રમી સ્વદેશ પરત ફર્યો હતો.