જાડેજા ઉપરથી કેપ્ટનશીપનું દબાણ દૂર થતાં ફરી ધમાકેદાર ઓલરાઉન્ડ પર્ફોર્મન્સ બતાવશે : ધોની
કેપ્ટનશીપના લીધે દબાણ અનુભવતો હતો, ટીમમાં ફિલ્ડીંગનું સ્તર સુધારવુ જરૂરી
નવી દિલ્હી : ચેન્નાઈની કેપ્ટનશીપ ધોનીએ ફરીથી સંભાળી લીધી છે. ગઈકાલે હૈદ્રાબાદને ૧૩ રને હરાવી જીત મેળવી છે.
ધોનીએ કેપ્ટનશીપ છોડવા રવિન્દ્ર જાડેજાને તે સોંપવા અને ફરી પાછી લેવાની વાત વિસ્તારપૂર્વક જણાવી હતી. જાડેજાએ આ મેચના એક દિવસ પહેલા જ કેપ્ટનશીપ છોડીને ધોનીને ફરીથી કેપ્ટનશીપ સંભાળવા અનુરોધ કર્યો હતો, જે કેપ્ટન કુલે સ્વીકાર્યો હતો.
મેચ પછી જયારે ધોનીએ કહ્યુ મને લાગે છે કે જાડેજા ગઈ સીઝનમાં જ જાણતા હતા કે આ વર્ષે તે કેપ્ટન બનશે. મે પહેલા બે મેચોમાં તેમના કામની દેખરેખ રાખી અને પછી તેના કામમાં દખલ કરવાનુ છોડી દીધુ ત્યાર પછી મે ભાર મૂકયો તે પોતાના નિર્ણયો જાતે લે અને જવાબદારી પણ સ્વીકારે.
ધોનીએ કહ્યુ કે એક વાર જયારે તમે કેપ્ટન બની જાઓ છો તો ઘણા પ્રકારની માંગ તમારી સામે આવે છે. પણ જેમ જેમ કામ વધતુ ગયુ તેનાથી તેમના મગજ પર અસર થઈ. મને લાગે છે કે કેપ્ટનશીપે તેમની તૈયારી અને પ્રદર્શન પર બોજ ઉભો કર્યો. મેદાનમાં તમારે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડે છે અને એ નિર્ણયોની જવાબદારી પણ તમારે લેવી પડે છે.
ધોનીએ આશા વ્યકત કરી કે જાડેજા કેપ્ટનશીપના દબાણમાંથી મુકત થવા સાથે પોતાના ઓલરાઉન્ડર ફોર્મને ફરી મેળવશે ખાસ કરીને ફીલ્ડીંગમાં કેમ કે ચેન્નાઈ સુપર કિંગ્સે આ વર્ષે ફિલ્ડીંગમાં બહુ ભંગાર પ્રદર્શન કર્યુ છે અને તેના ફીલ્ડરોએ ઘણા સહેલા કેચો છોડયા છે.
ધોનીએ જાડેજા માટે કહ્યુ તમે હવે કેપ્ટનશીપમાંથી છૂટકારો મેળવ્યો છે અને તમે હવે સારૂ પ્રદર્શન કરો એવુ અમે ઈચ્છીએ છીએ. ટીમ એક ડીપમીડવિકેટ ફિલ્ડર માટે પરેશાન હતી જયા અમે ૧૭-૧૮ કેચો છોડયા છે જે ખરેખર ચિંતાનો વિષય છે.