ટીમ ઇન્ડિયા-બાંગ્લાદેશ વચ્ચે રવિવારે વન-ડે મુકાબલો
આપણી ટીમ ઢાકા પહોંચી, ખેલાડીઓએ ફોટા શેર કર્યા : રોહિત, વિરાટ સહિતના ખેલાડીઓની ટીમમાં વાપસી, રજત પાટીદાર-યશ દયાલ નવા ચહેરાઃ સવારે ૧૧ વાગ્યાથી લાઇવ
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ૪ ડિસેમ્બરથી વન-ડે શ્રેણી રમાઇ રહી છે. વિરાટ કોહલી, લોકેશ રાહુલ સહિત તમામ ખેલાડીઓ ઢાકા પહોંચી ગયા છે. વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે પ્લેનમાં બેઠો છે. તસ્વીરમાં તેની સાથે ઉમેશ યાદવ અને ચેતેશ્વર પૂજારા છે. અક્ષર પટેલે શેર કરેલી અન્ય એક તસવીરમાં તેની સાથે મોહમ્મદ સિરાજ, લોકેશ રાહુલ જોવા મળી રહયા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણી આ રવિવાર એટલે કે ૪ ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહી છે. ભારતીય સમય મુજબ મેચ સવારે ૧૧.૩૦ વાગ્યાથી શરૂ થશે.
રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બ્રેક લઇને બૉગ્લાદેશ સામેની વન-ડે શ્રેણીમાં વાપસી કરી રહયો છે. આ સિવાય ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં સામેલ ટીમમાં સામેલ ખેલાડીઓ પણ બાંગ્લાદેશ પહોંચી રહયા છે. ઢાકાની પિચ ઐતિહાસિક રીતે સ્પિનરોને પસંદ કરે છે. ભારતીય ઉપખંડની અન્ય પીચોની જેમ આ પીચ પણ ધીમી હોવા માટે જાણીતી છે અને આ ટ્રેક પર શોટ રમવો પડકારજનક હોઇ શકે છે. અહીં તમામ બેટસમેનોને મુશ્કેલીનો સામનો કરવો પડયો છે. આ સ્થળ પર પ્રથમ દાવની સરેરાશ ૨૪૧ની છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, લોકેશ રાહુલ જે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી વિરામ બાદ વાપસી કરી રહયા છે. રાહુલ તાજેતરમાં સારુ પ્રદર્શન કરી શકયો નથી, તેથી આ શ્રેણી તેના માટે મહત્વની બની રહી છે. વિરાટ કોહલી સારા ફોર્મમાં છે જયારે રોહિત શર્મા પણ અગાઉ વર્લ્ડકપમાં આઉટ ઓફ ફોર્મ જોવા મળ્યો હતો.
ભારતની વનડે ટીમઃ રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, લોકેશ રાહુલ, ઋષભ પંત, ઇશાન કિશન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી. શમી, સિરાજ, દીપક ચાહર, યશ દયાલ
ત્રણ વન-ડે બાદ, બે ટેસ્ટ
વન-ડે શ્રેણીની ત્રણેય મેચો ૪, ૭ અને ૧૦ ડિસેમ્બરે રમાશે. આ પછી બંને ટીમો વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ૧૪ ડિસેમ્બરે રમાશે જયારે બીજી ટેસ્ટ મેચ ૨૨ ડિસેમ્બરથી રમાશે