ખેલ-જગત
News of Thursday, 3rd September 2020

બીસીસીઆઇની મેડિકલ ટીમના એક સભ્‍યનો કોરોના રિપોર્ટ પોઝીટીવઃ અત્‍યાર સુધીમાં ચેન્‍નઇ સુપર કિંગ્‍સના 2 ખેલાડીઓ સહિત 14ને પોઝીટીવ

નવી દિલ્હીઃ પાછલા સપ્તાહે ચેન્નઈ સુપર કિંગ્સના 2 ખેલાડીઓ સહિત 13 સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. હવે આઈપીએલ-2020મા કોરોના સાથે જોડાયેલા કેસોની સંખ્યા 14 થી ગઈ છે, કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈની મેડિકલ ટીમના એક સભ્યનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની પુષ્ટિ ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે જોડાયેલા સૂત્રએ કરી છે.

સીએસકેના 13 સભ્યો કોરોનાથી સંક્રમિત થયા બાદ બીસીસીઆઈ મુશ્કેલીમાં હતું. તો હવે ખુદ બોર્ડની મેડિકલ ટીમનો સભ્ય કોરોનાથી સંક્રમિત થવાથી આ મુશ્કેલીમાં વધારો થયો છે. એટલું જ નહીં, બેંગલુરૂ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના બે સભ્યો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈને બોર્ડના સૂત્રોએ પોતાની ટીમના સભ્ય કોરોનાથી સંક્રમિત હોવાની જાણકારી આપી છે.

બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રએ કહ્યું કે, તે સત્ય છે કે (બીસીસીઆઈની મેડિકલ ટીમના સભ્યને કોરોના) પરંતુ આ કોઈ મુદ્દો નથી કારણ કે તે વરિષ્ટ ચિકિત્સા અધિકારી asymptomatic છે અને તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તે કોઈના સંપર્કમાં આવ્યા નથી. તેમના પર નજર રાખવામાં આવી રહી છે અને આશા છે કે ટેસ્ટના બીજા તબક્કામાં રિપોર્ટ નેગેટિવ આવશે. અમારી પાસે એનસીએમાં બે લોકો પણ છે, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને પણ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

19 સપ્ટેમ્બરથી સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)ના દુબઈ, શારજાહ અને અબુધાબીમાં આઈપીએલ રમાવાની છે. તેની પહેલા આઈપીએલમાં 14 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. પરંતુ બીજા રાઉન્ડના ટેસ્ટિંગમાં સીએસકેના બધા સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. છતાં પણ વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ માટે ચિંતાનો વિષય છે. રાહતની વાત તો રહી કે જે પણ કોરોનાથી સંક્રમિત થયા છે તેનામાં કોઈ લક્ષણ નથી.

(5:24 pm IST)