ખેલ-જગત
News of Thursday, 3rd September 2020

આ અંગત નિર્ણય હતો અને મને મારા પરિવાર માટે પરત આવવુ પડયુઃ 19 સપ્‍ટેમ્‍બરથી ફરીથી ટીમમાં જોડાઇ જઇશઃ સુરેશ રૈનાએ મૌન તોડયુ

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી અચાનક હટવા પર પોતાના મૌનને તોડતા સુરેશ રૈનાએ કહ્યુ કે, તે પરિવાર માટે પરત આવ્યો અને 19 સપ્ટેમ્બરથી શરૂ થતી ટૂર્નામેન્ટ માટે દુબઈમાં ફરી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાઇ શકે છે.

મહેન્દ્ર સિંહ ધોનીની સાથે 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેનાર રૈનાએ તે ખબરોને નકારી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના અને ફ્રેન્ચાઇઝી વચ્ચે મતભેદ થઈ ગયો છે. ફ્રેન્ચાઇઝી દળમાં 13 મામલા કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે, જેમાં બે ખેલાડી પણ સામેલ છે અને રૈનાના હટવાનું તે કારણ જણાવવામાં આવ્યું હતું.

33 વર્ષીય રૈનાએ 'ક્રિકબઝ'ને કહ્યું, 'આ અંગત નિર્ણય હતો અને મને મારા પરિવાર માટે પરત આવવું પડ્યું. ઘર પર એવી વસ્તુ હતી, જેને તત્કાલ હલ કરવાની જરૂર હતી. ચેન્નઈ સુપર કિંગ્સ પણ મારો પરિવાર છે અને માહી ભાઈ (ધોની) મારા માટે ખુબ મહત્વપૂર્ણ છે. આ મુશ્કેલ નિર્ણય હતો.'

તેણે કહ્યું, સીએસકે અને મારા વચ્ચે કોઈ સમસ્યા નથી. કોઈપણ 12.5 કરોડ રૂપિયાને પીઠ ન દેખાડે અને કોઈ જરૂરી કારણ વગર જાય નહીં. મેં ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હોય, પરંતુ હું હજુ પણ યુવા છું અને આઈપીએલમાં આગામી ચાર-પાંચ વર્ષ રમવા ઈચ્છુ છું.

જ્યારે તેને સીએસકેની સાથે તેના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું તો તેણે સંકેત આપ્યો કે, દુબઈમાં ટીમ સાથે જોડાઈ શકે છે. તેણે કહ્યું, હું આઇસોલેશન દરમિયાન ટ્રેનિંગ કરી રહ્યો છું. બની શકે કે તમે મને ફરી ત્યાંની શિબિરમાં જુઓ.

જ્યારે સીએસકેના મુખ્ય કાર્યકારી અધિકારી કાશી વિશ્વનાથનને રૈનાના ફ્રેન્ચાઇઝી સાથે ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ટીમ પોતાના બધા ખેલાડીઓનું સમર્થન કરે છે.

તેમણે પીટીઆઈને કહ્યું, તેણે (રૈના)એ કહ્યું હતું કે, તે એક સીઝન માટે ઉપલબ્ધ નથી. અમે હંમેશા ખેલાડીઓનો સહયોગ કરીએ છીએ. તેમણે કહ્યું કે, તેના કેટલાક વ્યક્તિગત મુદ્દા ચાલી રહ્યાં હતા. તેથી જ્યારે તે ફિટ હોય... પરત આવી શકે છે. અમે પણ તે ઈચ્છીએ છીએ.

તેમણે કહ્યું, અમે ક્યારેય ખેલાડીની વિરુદ્ધ નથી. આગામી સીઝન માટે કોઈ મુશ્કેલી નથી કારણ કે અમે હંમેશા અમારા ખેલાડીનું સમર્થન કર્યું છે.

ટીમના માલિક એન શ્રીનિવાસન પણ ખુશ નહતા, જ્યારે તેમને ટૂર્નામેન્ટમાંથી રૈનાના હટવા વિશે માહિતી મળી હતી. રૈનાએ કહ્યુ કે, પૂર્વ બીસીસીઆઈ અધ્યક્ષ તેના માટે પિતાતુલ્ય છે અને તેમને આવુ કરવાનો પૂરો અધિકાર છે.

(5:24 pm IST)