ખેલ-જગત
News of Saturday, 5th September 2020

વિશ્વની દિગ્‍ગજ ફૂટબોલ ક્‍લબોમાંથી એક બાર્સિલોના અને લિયોનેલ મેસીના ચાહકો માટે ખુશખબરઃ હવે જાદુઇ ફૂટબોલર ક્‍લબ નહીં છોડે

બાર્સિલોનાઃ વિશ્વની દિગ્ગજ ફુટબોલ ક્લબોમાંથી એક બાર્સિલોના અને લિયોનેલ મેસીના ચાહકો માટે ખુશખબર છે. આ જાદૂઈ ફુટબોલર ક્લબ છોડી રહ્યો નથી. તેની જાહેરાત ખુદ મેસીએ કરી છે. પરંતુ તેણે આ નિર્ણય એક મજબૂરીમાં લીધો છે. હકીકતમાં, તે ક્લબ છોડવા ઈચ્છતો હતો પરંતુ મેનેજમેન્ટસ ખાસ કરીને ક્લબના અધ્યક્ષનું કહેવું હતું કે તેણે જવું છે કે 700 મિલિયન યૂરોનો દંડ આપવો પડશે.

ક્લબ સાથે ફાઇટ કરવા ઈચ્છતો નથી

સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસીએ તમામ અટકળો પર વિરામ લગાવતા શુક્રવારે જાહેરાત કરી કે તે આગામી સત્રમાં બાર્સિલોના સાથે રહેશે. મેસીએ ગોલ ડોટ કોમને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કહી છે. તેણે કહ્યું કે, તે ક્લબની સાથે કોઈ કાયદાકીય લડાઈમાં પડશે નહીં. તેણે કહ્યું- આ ક્લબે મને જિંદગી આપી છે. હું ક્યારે આ ક્લબ વિરુદ્ધ કોર્ટ ફાઇટ કરવા ઈચ્છતો નથી. અહીં મારા કરિયરનો પ્રારંભ થયો અને હું હીરો બની ગયો.

બાર્સિલોના છોડવાના નિર્ણય પર પત્ની અને બાળકો રડવા લાગ્યા

તેણે કહ્યું- હું અહીંથી જવા ઈચ્છતો હતો, કારણ કે હું ખુશ નહતો. તેથી મેં તેને સત્તાવાર પણ કર્યું, પરંતુ જે પ્રકારનો માહોલ છે, તે રીતે હું જવા ઈચ્છતો નથી. મને લાગે છે કે હું અહીંથી જવા માટે સ્વતંત્ર છું, પરંતુ સીઝન પૂરી થયા બાદ મેનેજમેન્ટે તેને અલગ રીતે લીધું. મેં જ્યારે મારા નિર્ણય વિશે પરિવારને જણાવ્યું તો મારીપત્ની અને બાળકો રોવા લાગ્યા હતા. પત્ની બાર્સિલોનામાં જ રહેવા ઈચ્છે છે અને બાળકો ત્યાં શાળામાં ભણવા ઈચ્છે છે. આ ડ્રામાએ મને પરેશાન કરી દીધો.

શરમજનક હાર બાદ લીધો હતો નિર્ણય

આ સાથે તેના ભવિષ્યને લઈને અટકળો પર વિરામ લાગી ગયો છે. તેણે પહેલા કહ્યું હતું કે, તે સત્રના અંતમાં ક્લબ છોડવા માગે છે. બાર્સિલોના ઈચ્છે છે કે તે જૂન 2021ના પોતાનો કરાર પૂરો થવા સુધી ક્લબ સાથે રહે. મેસીએ ચેમ્પિયન્સ લીગ ક્વાર્ટર ફાઇનલમાં બાયર્ન મ્યુનિખના હાથે 8-2થી શરમજનક હાર બાદ ક્લબ છોડવાની વાત કહી હતી.

(4:17 pm IST)