વાનખેડેમાં કોરનાનો રિપોર્ટ બતાવનારાને એન્ટ્રી મળશે
કોરોનાના કાળમાં પણ આઈપીએલ સિઝન-૧૪ શરૂ : મુંબઈમાં આઈપીએલ સિઝન-૧૪ની ૧૦ મેચ રમાવાની છે, જોકે તમામ મેચ પ્રેક્ષકો વગર જ રમાડવામાં આવશે
મુંબઇ, તા.૧૦ : દેશમાં બેકાબૂ બનેલા કોરોના વચ્ચે આઈપીએલનો પ્રારંભ થયો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તાજેતરમાં જ ૧૦ કર્મચારીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.
બીજી તરફ અહીંયા આઈપીએલની ૧૦ મેચો રમાવાની છે. આ બાબતને ધ્યાનમાં લઈને ક્રિકેટ બોર્ડે વાનખેડે સ્ટેડિયમમાં કોરોના ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ બતાવનારને જ પ્રવેશ આપવાનુ નક્કી કર્યુ છે. આમ તો આઈપીએલની મેચો પ્રેક્ષકો વગર રમાવાની છે પણ જે અધિકારીઓને અહીંયા પ્રવેશ અપાવાનો છે તેમના માટે પણ કોરોના ટેસ્ટનો રિપોર્ટ બતાવવાનુ ફરજિયાત બનાવાયુ છે.
જે અધિકારી આરટી પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ હોવાનુ દર્શાવશે તેને જ સ્ટેડિયમમાં એન્ટ્રી અપાશે. આ ટેસ્ટ પણ મેચના ૪૮ કલાક પહેલા જ થયેલો હોવો જરુરી છે. વાનખેડે સ્ટેડિયમમાં કોરોના ફેલાય નહીં તે માટે ક્રિકેટ બોર્ડ કોઈ ચાન્સ લેવા માંગતુ નથી. નહીંતર બોર્ડને અહીંની મેચો બીજે ખસેડવાની સ્થિતિ આવી શકે છે. જે અધિકારીઓએ મેચ દરમિયાન હાજર રહેવાનુ છે તેમના ટેસ્ટ બીસીસીઆઈ દ્વારા કરાવાશે.
આજે વાનખેડે પર પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવાની છે.