મેચ પહેલા પાક.ને ફટકો, શાહિન આફ્રિદીના રમવા અંગે આશંકા
એશિયાકપમાં ભારતનો ૨૮મીએ પાક. સામે મુકાબલો સ્ટાર પેસ બોલર ઘૂંટણની ઈજામાંથી સાજો થયો નથી, પાક. કેપ્ટન બાબર આઝમે પણ આ વાતનો સ્વીકાર કર્યો
નવી દિલ્હી, તા.૧૨ ઃ એશિયાકપમાં ભારત અને પાકિસ્તાનની ૨૮ ઓગસ્ટે ટક્કર થવાની છે. જોકે તે પહેલા પાકિસ્તાનની ચિંતામાં વધારો થયો છે. પાકનો સ્ટાર પેસ બોલર શાહિન અફ્રિદી ફિટ નથી અને તે ભારત સામેની મેચમાં રમી શકે તેવી શક્યતાઓ ઓછી છે. પાક ટીમના કેપ્ટન બાબર આઝમે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે.
શાહિન અફ્રિદી પોતાના ઘૂંટણની ઈજામાંથી હજી સંપૂર્ણપણે સાજો થયો નથી. પાક ક્રિકેટ ટીમ અફ્રિદીને સાજા થવા માટે વધારેને વધારે સમય આપી રહી છે.બાબરે કહ્યુ હતુ કે, અમે ડોકટરોની સલાહ લઈ રહ્યા છે. તેને ફિટ થવા માટે આરામની અને સમયની જરૃર છે. અમે ઈચ્છીએ છે કે, એશિયા કપ પહેલા તે ફીટ થઈ જાય.ઉલ્લેખનીય છે કે, યુએઈમાં રમાનારા એશિયા કપ માટે પાકિસ્તાને પોતાની ટીમમાં આફ્રિદી સિવાય બીજા ચાર પેસ બોલરોને સ્થાન આપ્યુ છે. જેમાં હરીસ રઉફ, શાહનવાઝ ઢહાની,ન સીમ શાહ અને મહોમ્મદ વાસીમનો સમાવેશ થાય છે.