જો પૂજારાએ એ કેચ પકડી લીધો હતો તો પરિણામ કંઈક અલગ જ હોત?
મુંબઈઃ ચેતેશ્વર પૂજારાએ આફ્રિકાની બીજી ઈનિંગ દરમિયાન સ્લિપમાં એક સરળ કેચ છોડ્યો હતો, જેના પછી કેપ્ટન વિરાટ કોહલીની ચોંકાવનારી પ્રતિક્રિયા ખૂબ જ વાયરલ થઈ રહી છે. પૂજારાએ જસપ્રિત બુમરાહની બોલ પર કીગન પીટરસનનો સરળ કેચ છોડ્યો હતો. તે સમયે પીટરસન ૫૯ રન પર રમી રહ્યો હતો અને દક્ષિણ આફ્રિકાનો સ્કોર ૧૨૬ રન હતો. પુજારાનો આ કેચ ટીમ ઈન્ડિયા માટે ઘણો ભારે પડયો હતો. પીટરસન ૮૨ રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે પૂજારાએ કેચ છોડ્યો ત્યારે વિરાટ કોહલીએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી, માત્ર બોલ ઉપાડ્યો હતો.
આવી સ્થિતિમાં વિરાટ ખૂબ જ ગુસ્સામાં જોવા મળે છે અથવા તો તે ખેલાડી તરફ ચોક્કસથી કંઈક ઈશારો કરે છે, પરંતુ પૂજારાના કેચ બાદ તેની પ્રતિક્રિયા ન આપવાની ખૂબ ચર્ચા થઈ રહી છે. જો તે સમયે ભારતને વિકેટ મળી હોત તો ટીમ ઈન્ડિયાએ કેપટાઉન ટેસ્ટમાં વાપસી કરી હોત.