ખેલ-જગત
News of Thursday, 16th June 2022

ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડ જવા રવાના થયો વિરાટ કોહલી

નવી દિલ્હી: ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે પાંચ મેચની T20 સીરીઝ રમવામાં વ્યસ્ત છે, જ્યાં ભારતે અત્યાર સુધી ત્રણ મેચમાં એક મેચ જીતી છે. બીજી તરફ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અન્ય ખેલાડીઓ સાથે બર્મિંગહામમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ માટે રવાના થઈ ગયો છે. થોડા દિવસો પહેલા, પસંદગી સમિતિએ 1-5 જુલાઈ દરમિયાન એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાનારી ઈંગ્લેન્ડ સામેની પાંચમી પુનઃનિર્ધારિત ટેસ્ટ માટે ભારતની 17 સભ્યોની ટેસ્ટ ટીમની પસંદગી કરી હતી. ભારત હાલમાં ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે. ગુરુવારે, BCCIએ એવા ખેલાડીઓની તસવીરો ટ્વીટ કરી કે જેઓ દક્ષિણ આફ્રિકા T20 શ્રેણીમાં સામેલ નથી થયા અને તેઓ ઈંગ્લેન્ડ જવા રવાના થયા છે. ગુરુવારે ઇંગ્લેન્ડ માટે રવાના થયેલા ખેલાડીઓમાં વિરાટ કોહલી, શુભમન ગિલ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને ચેતેશ્વર પૂજારાનો સમાવેશ થાય છે. કુલ મળીને, બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ જવા રવાના થયેલી 17 સભ્યોની ટીમમાંથી આઠ ખેલાડીઓની તસવીરો ટ્વીટ કરી હતી.

(8:38 pm IST)