ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં કેએલ રાહુલની વાપસી થઈ
ક્રિકેટ બોર્ડ દ્વારા છેલ્લી બે ટેસ્ટ માટેની ટીમ જાહેર : શાહબાઝ નદીમ આઉટ : ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી ૧-૧થી બરોબર, ૨૪મીથી ડે-નાઈટ ટેસ્ટ અમદાવાદમાં
નવી દિલ્હી, તા. ૧૭ : બીસીસીઆઈએ બુધવારે ઇંગ્લેન્ડ સામે છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ટીમમાં જાહેરાત કરી છે. લોકેશ રાહુલ ટીમમાં પાછો ફર્યો છે જ્યારે શાહબાઝ નદીમને ટીમથી બહાર કરવામાં આવ્યો છે. શ્રેણીની બાકીની બે ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે.
ત્રીજી ટેસ્ટ મેચ ૨૪ ફેબ્રુઆરીથી યોજાશે. તે ડે નાઈટ ટેસ્ટ હશે. શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ ૪ માર્ચથી થશે. ચાર મેચની ટેસ્ટ શ્રેણી હાલમાં ૧-૧ની બરાબરી પર છે.
પેસર ઉમેશ યાદવ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ અમદાવાદની ટીમમાં જોડાશે. શાર્દુલ ઠાકુરને વિજય હઝારે ટ્રોફી માટે રીલિઝ કરવામાં આવશે. અભિમન્યુ ઇશ્વરન, શાહબાઝ નદીમ અને પ્રિયંક પંચાલને પણ વિજય હજારે ટ્રોફી માટે રીલિઝ કરી દેવામાં આવ્યા છે.
ત્રીજી-ચોથી ટેસ્ટ માટેની બારતીય ટીમઃ વિરાટ કોહલી (સુકાની), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (ઉપ-સુકાની), કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમન સાહા (વિકેટકીપર), આર અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
સમિતિએ પાંચ નેટ બોલરોની પણ પસંદગી કરી છે. અને બે ખેલાડીઓ પણ સ્ટેન્ડબાય પર મુકાયા છે.
નેટ બોલર્સ- અંકિત રાજપૂત, આવેશ ખાન, સંદીપ વોરિયર, કૃષ્ણપ્પા ગૌતમ, સૌરભ કુમાર.
સ્ટેડબાય ખેલાડી - કે એસ ભારત અને રાહુલ ચાહર.