બીસીઆઈમાં ૨૦૧૬ કરતાં પણ કપરી સ્થિતિ બનશે, ભ્રષ્ટાચાર વધશેઃ કીર્તિ આઝાદ
રાજકારણીઓ બધુ જ હાથમાં લઈ લેશે, કૌભાંડકારીઓ તેનું કામ કરશે, પારદર્શકતા જેવું કઈ રહ્યું જ નથી
નવી દિલ્હીઃ બીસીઆઈ અને દિલ્હી ક્રિકેટ એસોસિએશનમાંના કથિત ભ્રષ્ટાચાર સામે ભૂતકાળમાં જોરશોરથી અવાજ ઉઠાવી ચૂકેલા ક્રિકેટ- નિષ્ણાંત કીર્તિ આઝાદે બોર્ડના બંધારણમાં ફેરફાર કરતાં સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા વિશે ચિંતા વ્યકત કરતાં કહ્યું છે કે આનાથી તો બોર્ડમાં ૨૦૧૬માં હતી એના કરતાં પણ કપરી સ્થિતિ થશે.
સર્વોચ્ચ અદાલતે હોદ્દેદારો માટેના કૂલિંગ- ઓફ પિરિપડમાં રાહત આપી અને પગલે સૌરવ ગાંગુલી પ્રમુખપદે અને જય શાહ સેક્રેટરીપદે ૨૦૨૫ સુધી રહી શકશે. બીજા હોદ્દેદારોને પણ ત્રણ વર્ષની વધુ એક મુદત પૂરી કરવાની તક મળી છે.
૬૩ વર્ષના આઝાદે હોદ્દેદારોને મળેલી રાહતને લક્ષ્યમાં રાખતાં આઈ.એ.એન. એસ.ને કહ્યું છે કે અગાઉના ચીફ જિસ્ટિસ ટી.એસ.ઠાકુરે બનાવેલી કમિટીએ બીસીઆઈમાં રહેલી કેટલીક ક્ષતિઓ વિશે ધ્યાન દોર્યું હતું. પરંતુ એ મુદ્દા નવા ફેંસલામાં કાઢી નાખવામાં આવ્યા છે. બીસીસીઆઈનો કારભાર ૨૦૧૬માં હતો એવો થઈ જશે અને ત્યારની જેમ ફરી કૌભાંડો થશે. ભ્રષ્ટાચાર ૨૦૧૬ની સાલ કરતાં પણ વધુ બેકાબૂ બનશે. રાજકારણીઓ કારભાર પોતાના હાથમાં લેશે અને કૌભાંડકારીઓ તેમનું કામ કરી લેશે. પારદર્શકતા જેવું કંઈ નથી.